કોરોના ઘટતાં જીટીયુ દ્વારા વિવિધ વિભાગોની પરીક્ષા ઓફલાઈન યોજવાનું આયોજન, વિદ્યાર્થીઓેએ નિર્ણયનો કર્યો વિરોધ
કોરોના સંક્રમણ ઘટતાં આગામી સમયમાં જીટીયુ દ્વારા વિવિધ વિભાગોની પરીક્ષા ઓફલાઈન યોજવાનું આયોજન કર્યું છે આ નિર્ણયનો જીટીયુના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો અને યુનિવર્સિટી દ્વારા ઓફલાઈનની સાથે સાથે ઓનલાઇનનો વિકલ્પ આપવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે
કોરોના (Corona) સંક્રમણ થતા આગામી સમયમાં જીટીયુ દ્વારા વિવિધ વિભાગોની પરીક્ષા ઓફલાઈન (offline exam) યોજવાનું આયોજન કર્યું છે આ નિર્ણયનો જીટીયુના વિદ્યાર્થીઓ (Students) એ વિરોધ કર્યો અને તેનો છાત્ર સંગઠન એન.એસ.યુ.આઈ (NSUI) એ સમર્થન કર્યું છે. ગુજરાત એનએસયુઆઇના પૂર્વ મહામંત્રી ગૌરાંગ મકવાણાનું કહેવું છે કે અનેક યુનિવર્સિટી ઓફલાઈનની સાથે સાથે ઓનલાઇનનો વિકલ્પ આપે છે પરંતુ GTUના VC પોતાની મનમાની ચલાવીને વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકી રહ્યા છે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને દૂર-દૂર સેન્ટર આપવાની જગ્યાએ નજીકના સેન્ટર ફાળવવામાં આવે. આ ઉપરાંત જીટીયુના વિદ્યાર્થીઓનું કહેવું છે કે અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં બે ડોઝ લીધા બાદ પણ કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે ત્યારે 70,000 પરીક્ષાર્થીઓને ભેગા કરીને વીસી નવીન શેઠ કયુ પરીક્ષણ કરવા માંગે છે?
બીજી તરફ જીટીયુના vc નવીન શેઠનું કહેવું છે કે અગાઉ લીધેલી પરીક્ષાઓમાં ઓફલાઇન અને ઓનલાઈનના વિકલ્પ આપવામાં આવ્યા હતા જેમાં અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો હતો અને હોશિયાર વિદ્યાર્થીઓને ક્યાંક અન્યાય થતો હોય તેવી ઘટના સામે આવી હતી. માટે હાલની પરિસ્થિતિમાં ઓફલાઈન મોડમાં જ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાઓમાં અંદાજિત 40,000 ડિપ્લોમાના અને 30,000 ડિગ્રીના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
વિદ્યાર્થીઓએ રોષ પ્રકટ કરતાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓને ટેક્નોલોજીનું શિક્ષણ આપતી સંસ્થા જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓનલાઈન પરીક્ષા લેવા અસક્ષમ છે ત્યારે આગામી સમયમાં કોઈ વિદ્યાર્થીને કોરોના થાય તો GTU જવાબદારી લે તેવી પણ માગણી કરાઈ હતી.