અમદાવાદના ગોતામાં આયોજિત ક્ષત્રિય સમાજના સંમેલનના પ્રથમ દિવસે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના વારસદાર વિજયરાજસિંહ ગોહિલનું ઢોલ નગારાના તાલ સાથે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટ્યા હતા. આ સંમેલનની સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચ તરીકે જાહેરાત કરાઈ હતી. જેમા ભાવનગરના મહારાજા વિજયરાજસિંહની પ્રમુખ તરીકે બરાબર વિજયમૂહુર્ત 12.39એ તિલક કરી તાજપોશી કરાઈ હતી. આ સંમેલનના પ્રમુખ તરીકે વિજયરાજસિંહ ગોહિલના જાહેરાત કરાઈ છે.
આ ક્ષત્રિય સંમેલનમાં વિજયરાજસિંહે જણાવ્યુ હતુ કે આજે સમસ્ત ક્ષત્રિય સમાજ એક થયો તે આનંદની વાત છે. હવે તમામ સંગઠનો એક છત્રછાયા હેઠળ કામ કરશે. ક્ષત્રિયોને સારી તક મળે તે માટે કામ કરવામાં આવશે, આ સંગઠ રાજનીતિ માટે કામ નહીં કરે, રાજકીય વાતોથી સંગઠનની દિશા બદલાતી હોય છે. રાજનીતિથી અમને કોઈ લેવાદેવા નથી. વધુમાં તેમણે ઉમેર્યુ કે રાજકારણીઓથી અમને કોઈ તકલિફ નથી પણ સંગઠનમાં રાજકારણની વાતો નહીં. ક્ષત્રિય સમાજ શિક્ષણ તરફ આગળ આવે તેવા પ્રયત્ન કરીશુ. વધુમાં તેમણે જણાવ્યુ કે છેલ્લા ઘણા સમયથી કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન આપવાની અમારી માગ છે.
દાંતાના રાજવી રિદ્ધિરાજસિંહે સંમેલનમાં મોટુ નિવેદન કર્યુ. તેમણે કહ્યુ સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા કેમ બની એ તમામે વિચારવુ જોઈએ. સરદાર પટેલનું સન્માન કૃષ્ણકુમારસિંહજીના કારણે થયુ. કૃષ્ણકુમાર સિંહજીએ અખંડ ભારત માટે સૌપ્રથમ પોતાની તમામ રિયાસત આપી દીધી હતી. કૃષ્ણકુમાર સિંહજીએ સૌપ્રથમ આગળ આવ્યા અને પોતાનું સમગ્ર રજવાડુ સરદાર પટેલને અખંડ ભારત માટે આપી દીધુ હતુ. ત્યારે કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નનું સન્મામ મળવુ જોઈએ. આ સંમેલનમાં ભારત રત્ન મળે તે માટે સંમેલનમાં ઠરાવ કરવામાં આવ્યો.
આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના અગ્રણી પ્રવિણરાજસિંહ જાડેજાએ નિવેદન કર્યુ કે સમાજમાં એકતા ન હોવાના કારણે રાજકીય લાભ નહીં. સમાજને રાજકારણથી દૂર ના કરી શકાય. સમાજના વિકાસ માટે રાજકારણ જરૂરી છે. ક્ષત્રિય સમાજની 19 ટકા વસ્તી છે. છતા માત્ર બે જ મુખ્યમંત્રી મળ્યા છે. ક્ષત્રિય સમાજ એક થવો ખુબ જ જરૂરી છે. સમાજ નૈતિકતા વાળું રાજકારણ કરે એ જરૂરી છે.
સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ કાર્યક્રમમાં પદ્મિનીબા વાળા દ્વારા વિરોધ કરાયો છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પદ્મિનીબા વાળાએ સ્ટેજ ઉપર સ્થાન ન મળતા હોબાળો કર્યો હતો. પદ્મિનીબાએ કહ્યું કેમ અમારું સન્માન જાળવવામાં આવતું નથી. ક્ષત્રિય સંમેલનમાં અર્જુનસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે શંકરસિંહ વાઘેલાની હાજરી મુદ્દે નિવેદન આપ્યું છે. તેમાં જણાવ્યું છે કે સંમેલનમાં એકપણ નેતાને સ્ટેજ પર સ્થાન ન અપાયું. સમાજના નેતા નહીં સમાજના વ્યક્તિ થઈ આવ્યા છે. સ્ટેજ પર સમાજના રાજાઓએ સ્પીચ આપી, નેતાઓએ નહીં.
સમાજને રાજકારણથી દૂર રાખવા અંગે અને શંકરસિહ વાઘેલાની સંમેલનમાં ઉપસ્થિતિ અંગે અર્જુનસિંહે જણાવ્યુ કે શંકરસિંહ સમાજના અગ્રણી તરીકે અહીં ઉપસ્થિત રહ્યા છે અને રાજકીય મંચ ન હોવાથી તેમણે કોઈ સ્પીચ પણ નથી આપી. તાજેતરમાં શંકરસિંહની અમિત શાહ સાથેની મુલાકાત અંગે તેમણે જણાવ્યુ કે શંકરસિંહ સમાજના પ્રશ્નોની ચિંતા અંગે શાહને મળ્યા હતા. સમાજની અવગણના થઈ રહી હોવાનું કેન્દ્રીય મંત્રીના ધ્યાને છે. ક્ષત્રિય સમાજ રાજકીય રોટલા શેકવા નથી માંગતો કે કોઈનો હાથો પણ નથી બનવું.
બીજી તરફ કાર્યક્રમને અંતે પદ્મિનીબા વાળાને સ્ટેજ પર સ્થાન ન અપાતા તેમણે હોબાળો કર્યો હતો. પદ્મિની બાએ સન્માન ન જાળવવામાં આવતુ હોવાના આક્ષેપ કર્યા હતા. આ અંગે અર્જુનસિંહે જણાવ્યુ કે સંમેલનમાં એકપણ નેતાને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યુ નથી અને શંકરસિંહને સ્ટેજ પર સ્થાન આપવા અંગે તેમણે જણાવ્યુ કે તેઓ સમાજના નેતા નહીં સમાજના વ્યક્તિ થઈને આવ્યા છે, આજના સંમેલનમાં એકપણ રાજકીય નેતાએ સ્પીચ આપી નથી. સમાજના રાજાએએ જ સ્પીચ આપી છે. વધુમાં તેમણે કહ્યુ આપણે મોટા થવાનો આ મંચ નથી, સમાજના હિત માટેનો મંચ છે
પદમીનિબા સભ્યતા ચૂક્યા છે, જેમ ફાવે એમ બોલી આગળ ના વધી શકાય.
હાલ આ સંમેલનમા શંકરસિંહની હાજરીથી અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. થોડા દિવસ અગાઉ શંકરસિંહની અમિત શાહ સાથે મુલાકાત અને એ મુલાકાત બાદ આજના આ સંમેલનમાં શંકરસિંહની ઉડીને આંખે વળગે એ પ્રકારની મંચસ્થ હાજરીથી અનેક મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે. રાજકીય વર્તુળોમાં સંમેલનને ભાજપની બી ટીમ તરીકે પણ જોવાઈ રહ્યુ છે. જેનું ચિત્ર આગામી સમયમાં જરૂરથી સ્પષ્ટ થશે.