ચાતક નજરે રાહ જોયા બાદ આખરે અમદાવાદમાં રાત્રિના સમયે વરસાદ આવ્યો. અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે ઠંડકની અનુભૂતિ કરાવતો આ વરસાદ મહાનગરપાલિકાના અણઘડ વહીવટના પાપે રાહતનો નહીં આફતનો વરસાદ સાબિત થયો છે. વરસાદ બાદની સ્થિતિના વિવિધ વિસ્તારોના જે દૃશ્યો સામે આવ્યા છે તે મનપાની ભ્રષ્ટ નીતિ અને આયોજન વિનાની કામગીરીની સાબિતી પૂરે છે. શહેરમાં પડેલા એક થી દોઢ ઈંચ વરસાદમાં જ અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. પાણીના નિકાલની જાણે કોઈ વ્યવસ્થા જ ન હોય તેમ શહેરના સરસપુર અને વોરાના રોઝા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેમા એક AMTS બસ પણ ફસાઈ જતા પારાવાર હાલાકી સર્જાઈ હતી. નવી ડ્રેનેજ લાઈન નખાઈ હોવા છતાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. જે મનપાની કામગીરી સામે પણ અનેક સવાલ ખડા કરે છે.
આટલુ ઓછુ હોય તેમ સરસપુર ફોટલિયા ચાર રસ્તા પાસે ખોદેલો રસ્તો બેસી જવાના દૃશ્યો સામે આવ્યા છે. પ્રથમ વરસાદમાં જ કાચુ પુરાણ કરેલો રોડ બેસી જતા હાલાકી સર્જાઈ છે. મનપા કમિશનરના 1 જૂન બાદ રસ્તા પર કોઈપણ ખોદકામ ન કરવુ અને પાકા પુરાણના આદેશના દાવા પોકળ સાબિત થયા છે. તંત્રએ વરસાદની રાહ જોતા કાચુ પુરાણ કર્યુ તેવા દૃશ્યો ઉડીને આંખે વળગી રહ્યા છે અને નબળી કામગીરીની પોલ ખોલી રહ્યા છે. આગ લાગે પછી જ કૂવો ખોદવા ટેવાયેલુ મનપા તંત્ર હવે બેસી ગયેલા રસ્તા પર તાત્કાલિક પુરાણ કરવા માટે કામે લાગ્યુ છે.
આ તરફ શહેરના નરોડા પાટિયા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. સ્થાનિકો પાણીમાંથી પસાર થવા મજબુર બન્યા છે. મુખ્ય માર્ગો પર આવેલી દુકાનો બહાર પાણી ભરાઈ જતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી. રસ્તા પર પાણી ભરાતા સવારના સમયે અનેક વાહનચાલકો અટવાયા હતા.
શહેરના પોશ વિસ્તારોમાંના એક અને ટ્રાફિકથી ધમધમતા એવા માણેકબાગ ચાર રસ્તા નજીક રોડ બેસી ગયો. અહીં થોડા દિવસો પહેલા મનપા દ્વારા રોડનું સમારકામ હાથ ધરાયુ હતુ. મનપા દ્વારા આ કેવુ સમારકામ થયુ હશે તે પ્રથમ વરસાદ બાદ બેસી ગયેલા રોડ નજીક લગાવેલા બેરિકેડ પરથી સમજી શકાય છે.
પ્રથમ વરસાદમાં જ સ્માર્ટ સિટી અમદાવાદના રસ્તાઓ જળમગ્ન બન્યા છે. સ્ટ્રોમ વોટર લાઈન નાખી હોવા છતા શહેરના અનેક માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયા છે. કલાકો વિત્યા બાદ પણ હજુ પાણી ઓસર્યા નથી. ત્યારે કરોડોના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન લાઈન નાખવાનો મનપા દ્વારા દાવા કરાયા છતા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. દર ચોમાસાએ થોડા વરસાદમાં જ શહેરમાં પાણી ભરાઈ જાય છે. અનેક વિસ્તારો જળસમાધિ લઈ લે છે અને નફ્ફટ બનેલા મનપાના અધિકારીઓ એસી ઓફિસોમાં બેસી કાગળ પર પ્રિમોન્સુન કામગીરીના મોટા મોટા બણગાઓ ફુંકતા રહે છે. પરંતુ જમીન પર કોઈ કામગીરી દેખાતી નથી. આટલા વર્ષો બાદ પણ સ્માર્ટ સિટીની મનપાના ઈજનેરો પાસે પાણી ભરાવાની સમસ્યાનો કોઈ નક્કર તોડ નથી. આજના દૃશ્યોને જોતા તો એવુ જ લાગી રહ્યુ છે.
Published On - 2:21 pm, Tue, 25 June 24