Ahmedabad: કુખ્યાત ગુનેગાર અઝહર કિટલીનું નવુ કારસ્તાન, જેલમાં બેસી ખંડણીનું નેટવર્ક ચલાવવાનો પર્દાફાશ
Ahmedabad: ફિલ્મી કેરેક્ટર મનિયા સુરવેની જેમ ડોન બનવા માગતા કુખ્યાત ગુનેગાર અઝહર કિટલીના નવા કારસ્તાનનો પર્દાફાશ થયો છે. તે જેલમાં જ બેસીને ખંડણીનું નેટવર્ક ચલાવતો હોવાનો અને વેપારીને ફોન કરી જામીન કરાવવા માટે 5 લાખ રૂપિયા માગ્યા હોવાનો ખૂલાસો થયો છે.
અમદાવાદના (Ahmedabad) જુહાપુરાનો કુખ્યાત ગુનેગાર અઝહર કિટલી (Azhar Kitli)ના નવા કારસ્તાનનો પર્દાફાશ થયો છે. 19થી વધુ ગુના આચરી ચુકેલો અઝહર કિટલી હાલ સાબરમતી જેલમાં કેદ છે, જો કે હાલ ભલે તે જેલમાં હોય પરંતુ જેલમાં જ બેસીને તેણે એક વેપારીને ફોન કરી જામીન કરાવવા માટે પાંચ લાખ રૂપિયાની ખંડણી (Extortion) માગી હોવાનુ સામે આવ્યુ છે. સમગ્ર ઘટનાની વિગત મુજબ ખંડણી માગવા અઝહરે જૂદા જૂદા દિવસે અનેક ફોન કરી વેપારીને ધમકી આપતો હતો અને પૈસા માગતો હતો. વેપારીએ જવાબ ન આપતા અઝહરનો પારો ચડી ગયો અને તેના માણસો મોકલી તોડફોડ કરાવી હતી, વેપારીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. અઝહર સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચુક્યા છે. જેલમાં રહી ફોન દ્વારા ખંડણીનું નેટવર્ક ચલાવતો હોવાનુ ધ્યાને આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અઝહર કિટલી પાસે જેલમાં ફોન કેવી રીતે આવ્યો તે તપાસનો વિષય
અઝહર કિટલી અગાઉ પણ અનેક ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. છતા જેલમાં બેસી તે જેલના અધિકારીઓના આશિર્વાદ અને મિલિભગતથી ફોન કરીને લોકોને ધમકાવી રહ્યો છે. હાલ તો વેજલુપ પોલીસે આ ગુનામાં ઝાકીર હુસૈન, અઝહર કબુતર, અઝહર કિટલી અને બબલુ સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધી છે. તાજેતરમાં અઝહર કિટલી પાસેથી ફોન મળી આવ્યો હતો, અને તે બાબતે રાણીપમાં પણ ગુનો નોંધાયો હતો. અગાઉ ગુજસીટોકનો ગુન અને હવે ખંડણી માટે ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાતા અઝહર કિટલી પર વધુ સકંજો કસાયો છે. 19થી વધુ ગુના આચરનાર અઝહર કિટલીને થોડા જ દિવસોમાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી કાયદાનું ભાન કરાવશે.
અઝહર આમ તો ફિલ્મી કેરેકટર મનીયા સુરવે બનવાના ખ્વાબ જોતો હતો. પણ હવે પોલીસ તેને બિલ્લીની માફક ગુનાની દુનિયામાંથી ફેંકી દેશે તેવો એક્શન પ્લાન ઘડ્યો છે. આગામી સમયમાં માત્ર અઝહર કીટલી જ નહિ પણ આ વિસ્તારના તમામ ગુનેગારો થરથર કાંપે અને ગુનો આચરતા બંધ થાય તે રીતની કડક કાર્યવાહી કરવા પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે આગામી દિવસમાં અઝહર કીટલી પકડાયા બાદ જેલમાં મોબાઈલ કેવી રીતે લઈ ગયો અને કેટલા લોકોને ધમકી આપી ખંડણી માગી ચુક્યો છે તેનો પણ ખુલાસો થશે.