Ahmedabad: કાંકરિયામાં એશિયાટીક સિંહનું વૃદ્ધાવસ્થાના કારણે કુદરતી મૃત્યુ
એશિયાટીક સિંહ અંબરના મૃત શરીરને પોસ્ટ મોર્ટમ કરવા માટે આણંદ વેટરીનરી કોલેજ ખાતે મોકલવામાં આવેલ હતું. આણંદ વેટરીનરી કોલેજના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જણાવ્યા મુજબ એશિયાટીક સિંહ અંબરનું મૃત્યુ વૃદ્ધાવસ્થાના કારણે થયેલું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક કમલા નેહરૂ પ્રાણી સંગ્રહાલય, કાંકરિયા અમદાવાદ ખાતે એશિયાટિક સિંહનું 18 વર્ષની વયે અવસાન થયું હતું. સામાન્ય રીતે પ્રાણી સંગ્રહાલયમાં રહેતા સિંહનું આયુષ્ય 15થી 16 વર્ષનું હોય છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયનો આ એશિયાઈ સિંહ તા.26/12/2008ના રોજ સકકરબાગ ઝૂ, જુનાગઢથી લાવવામાં આવ્યો હતો અને તેનું નામ અંબર હતું. તે નર સિંહ હતો. અંબર મૃત્યુ પામ્યો ત્યારે હાલમાં તેની ઉંમર 18 વર્ષ જેટલી હતી અને તે તેની વૃદ્ધાવસ્થાને કારણે છેલ્લા 15 દિવસથી બિમાર હતો.
વૃદ્ધાવસ્થાનાને કારણે શારીરિક નબળાઈ જણાતાં તેની સઘન સારવાર અને સારસંભાળ ચાલુ હતી. એશિયાટીક સિંહનું બંધનાવસ્થામાં સરેરાશ આયુષ્ય 15થી 16 વર્ષનું હોય છે.
રિક્રીએશન, કલ્ચરલ એન્ડ હેરીટેઝ કમિટીના ચેરમેન રાજુભાઈ દવે એ માહિતી આપતા જણાવ્યું કે તા 27 ફ્રેબુઆરીની રાત્રે 1.30 કલાકે એશિયાટીક સિંહનું વૃદ્ધાવસ્થાના કારણે કુદરતી મૃત્યુ થયું હતું. ત્યારબાદ એશિયાટીક સિંહ અંબરના મૃત શરીરને પોસ્ટ મોર્ટમ કરવા માટે આણંદ વેટરીનરી કોલેજ ખાતે મોકલવામાં આવેલ હતું. આણંદ વેટરીનરી કોલેજના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જણાવ્યા મુજબ એશિયાટીક સિંહ અંબરનું મૃત્યુ વૃદ્ધાવસ્થાના કારણે થયેલું છે.
જેથી એશિયાટીક સિંહ અંબરનું સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, નવી દિલ્હીના નીતિ નિયમ મુજબ વનખાતાના અધિકારી તથા પંચોની હાજરીમાં જ આ મૃત એશિયાટીક સિંહના તમામ અવયવો જેવા કે નખ, ચામડી અને સંપૂર્ણ શરીરનો અગ્નિસંસ્કાર કરી તેની રાખને ઉંડા ખાડામાં દાટીને સંપૂર્ણ નાશ કરવામાં આવેલ છે.
હાલમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં કુલ -2006 વન્ય પ્રાણી પક્ષીઓ રાખવામાં આવેલા છે તેમાં એશિયાટીક સિંહ નર-1 અને માદા-2, વાઘ-નર-1 અને માદા -2, સફેદ વાઘ-1, દિપડાઓ-4, એક એડી હિપ્પોપોટેમસ, હાથણી-1 ઝરખ માદા-1 અને તથા 16 શિયાળ છે.