અમદાવાદ: ટ્રાફિક વિભાગની સતત નજર બાદ પણ એસ.જી હાઇવે અને એસ.પી. રિંગરોડ બન્યો અકસ્માત ઝોન, બે દિવસમાં ત્રણ મોત
અમદાવાદમાં એસ.પી રિંગરોડ તેમજ એસ.જી હાઇવે (S.G. highway)ખાતે બે દિવસ દરમિયાન ઉપરાછાપરી બનેલી અકસ્માતની 3 ઘટનાઓમાં (Road accident) 3 યુવાનોનાં મોત થયાં હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જ્યારે એક ડોક્ટર ઇજાગ્રસ્ત થયા છે.
અમદાવાદમાં(Ahmedabad) એસ. જી. હાઇવે (S.G. Highway)તેમજ એસ.પી રિંગરોડ ખાતે બે દિવસ દરમિયાન ઉપરાછાપરી બનેલી અકસ્માતની 3 ઘટનાઓમાં (Road accident) 3 યુવાનોનાં મોત થયાં હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જ્યારે એક ડોક્ટર ઇજાગ્રસ્ત થયા હતા. અમદાવાદમાં એક દિવસ પહેલા જ વસ્ત્રાલ ખાતે પણ હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં સવારે મોર્નિંગ વોકમાં નીકળેલા યુવાનને પીકઅપ વાને પાછળથી ટક્કર મારી હતી. નોંધનીય છેકે એસ.જી હાઇવે ખાતે મોડી રાત્રે પૂરઝડપે આવતા વાહનોના લીધે અન્ય વાહનચાલકોનો ભોગ લેવાતો હોય છે. મે મહિનામાં એસ.જી હાઇવે ના સોલા બ્રિજ ખાતે વાહને ટક્કર મારતા નવપરિણિત દંપતીનું પણ આવા જ અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યું હતું. ત્યારે આવી ઘટનાઓ રોકવા માટે અનિવાર્ય પગલાં લેવા જરૂરી બની ગયા છે. સરેરાશ બિ દિવસમાં હિટ એન્ડ રન અને અકસ્માતની ઘટનાની વિગતો જોઈએ તો તે આ મુજબ છે.
ઘટના -1
અમદાવાદમાં મંગળવારે મોડીરાતથી બુધવારે સવાર સુધીમાં એસ.જી હાઇવે તેમજ એસ, પી રિંગરોડ ખાતે આવેલા ઝવેરી ચાર રસ્તા પાસે બાઇક તથા થાર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં બાઇક સવાર બે યુવાનોના મોત થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર આ યુવકોના નામ સુરેશ ઠાકોર તથા સાગર કોઠારી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતું કે ઝવેરી ચાર રસ્તા પાસે એસપી રિંગ રોડ તરફ જવાના રસ્તા પર મોડી રાત્રે રોંગ સાઇડથી આવી રહેલી થાર ગાડીએ બાઇકને ટક્કર મારી હતી. આ ઘટનામાં જીપચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં બાઇક સવાર યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને હોસ્પિટલ લઈ જતા અગાઉ જ બંનેનું મોત થયું હતું . પોલીસ આ ઘટનામાં સીસી ટીવી ફૂટેજ ચકાસીને વધુ વિગતો મેળવશે.
ઘટના 2
જ્યારે અન્ય એક ઘટનામાં એસજી હાઇવે -1 પોલીસસ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદ મુજબ એસજી હાઇવે ખાતે ગાંધીનગરથી પરત આવેલી રહેલા વેજલપુરના રહેવાસી અને છાપાના વિતરક દિનેશભાઇની રિક્ષાને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું મોત થયું હતું.
ઘટના -3
તો એસ.જી હાઇવે ખાતે 27 જૂને બનેલી અન્ય એક અકસ્માતની ઘટનામાં હોસ્પિટલ જઈ રહેલા ડોક્ટર હિમાંશુ સોલંકીના બાઇક સાથે શેલ્બી હોસ્પિટલ બાજુથી પૂરઝડપે આવી રહેલી કરા અથડાઈ હતી. જેમાં ડોક્ટર ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત થયેલા ડો. હિમાંશુને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અંગે ડો હિમાંશુ સોલંકીએ જાતે જ N ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક વિરૂદ્ધ કેસ નોંઘાવ્યો હતો. આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.