Ahmedabad: બકરીઈદના તહેવાર દરમિયાન બે દિવસમાં 1400 મેટ્રીક ટન થી વધુ કુરબાની વેસ્ટના નિકાલમાં AMC કામે લાગ્યુ
Ahmedabad: બકરીઈદના દિવસે મુસ્લિમ સમાજના લોકો બકરાની કુરબાની આપે છે, આ કુરબાની માટે AMC દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. બે દિવસ દરમિયાન 1400 મેટ્રીક ટન કુરબાની વેસ્ટ સામે આવ્યો જેના નિકાલ AMC દ્વારા કરવામાં આવ્યો હતો, જેના માટે સફાઈ કામદારોને સ્ટેન્ડ ટુ રખાયા હતા.

મુસ્લિમ સમાજમાં બકરીઈદના દિવસે પ્રાણીઓની કુરબાની આપવાનો રીવાજ હોય છે. આ બાબત અન્ય ધર્મ માટે ખુબ જ સંવેદનશીલ બાબત બની જતી હોય છે. આથી આ તહેવારના કારણે અન્ય ધર્મના લોકોની લાગણીઓ દુભાય નહી અને કોમ્યુનલ બનાવો બને નહિ તેમજ જાહેર આરોગ્યની બાબતને નજર સમક્ષ રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ખુબ જ ચોકસાઈપૂર્વક જે-તે ઝોન / વોર્ડમાં કુરબાની માટેનો વેસ્ટ જે સ્થળોએ નાંખવામાં આવે છે. તેવી 610 જેટલી જગ્યાઓ પર 1250 જેટલા સ્પેશીયલ બેરલ્સ મુકી આવતાં કુરબાનીના કચરાના આખરી નિકાલની વ્યવસ્થા કરવામાં આવેલ. જેમાં તા.29.06.23 ના રોજ 06 ઝોનમાંથી કુલ 142 વાહનો દ્વારા 833 મે.ટન કુરબાની વેસ્ટ એકત્ર કરવામાં આવેલ હતો.
1400 મેટ્રિક ટન કુરબાની વેસ્ટનો નિકાલ
મુસ્લિમ બિરાદરો દ્વારા બકરીઇદનાં બીજા દિવસે પણ પ્રાણીઓની કુરબાની આપવામાં આવતી હોઇ 30.06.2023 નાં પણ ઝોનવાઇઝ નીચે મુજબથી સ્પોટો પરથી અત્યાર સુધીમાં કુલ 608 મેટ્રીક ટન કુરબાની વેસ્ટ એકત્ર કરી પિરાણા ખાતે નિકાલ કરવામાં આવ્યો છે.
બકરી ઈદના દિવસે 70થી વધુ બીટ સફાઈ કામદારોને રખાયા સ્ટેન્ડ ટુ
કુરબાનીનો વેસ્ટ આવતા લોકેશનો પર મુકવામાં આવેલ બેરલ્સની આજુબાજુની જગ્યા સાફ કરવા માટે 70 થી વધારે બીટ સફાઇ કામદારોને સ્ટેન્ડ ટુ ગોઠવવામાં આવ્યા હતા. તેમજ જગ્યા સાફ કરી જંતુનાશક પાવડર અને ફીનાઇલનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
પિરાણા ડમ્પ સાઈટ પર 1400 મેટ્રિક ટન કુરબાની વેસ્ટનો ઉંડો ખાડો કરી નિકાલ
ઝોન – વોર્ડનાં વિસ્તારોમાંથી 142 જેટલાં વાહનો દ્વારા છેલ્લાં 02 દિવસમાં એકત્ર કરવામાં આવેલ કુરબાનીનો અંદાજીત 1400 મેટ્રીક ટનથી વધારે કચરાને સો.વે.મે. વિભાગ હસ્તકની પિરાણા ડમ્પ સાઇટ ઉપર આ માટે ખાસ અલગથી ઉંડો ખાડો તૈયાર કરેલી જગ્યા ઉપર જંતુનાશક દવા તેમજ ફીનાઇલનો છંટકાવ કરી બિન ઉપયોગી બનાવી નિકાલ કરવામાં આવેલ છે.
શહેરનાં પૂર્વ, ઉત્તર, દક્ષિણ, મધ્ય, દક્ષિણ પશ્વિમ અને પશ્ચિમ ઝોનમાં આવેલ મુસ્લીમ વિસ્તારોમાં નાનાં- મોટાં પ્રાણીઓની કુરબાની આપવામાં આવતી હોય છે અને આ તહેવાર લગભગ ચાર દિવસ સુધી ચાલતો હોય છે. જેથી મુસ્લિમ આગેવાનો અને કાઉન્સીલર દ્વારા વધુ 02 દિવસ માટે કુરબાની વેસ્ટ કલેકશનની રજુઆત કરેલ હોઇ તે મુજબ ઝોનવાઇઝ જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવેલ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો