Ahmedabad : સરકારી સ્કૂલમાં બાળકોના એડમિશન વધ્યા, ખાનગી શાળા છોડી સરકારી શાળામાં લઈ રહ્યા છે પ્રવેશ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેને નિવેદન આપ્યું કે ખાનગી શાળામાંથી 4500 જેટલા બાળકોએ શહેરની સરકારી શાળામાં પ્રવેશ લીધો. જે 2019 માં 3 હજારની સંખ્યા હતી તેના કરતાં વધુ છે.
સરકારી શાળા (Government School) આ નામ સાંભળતા લોકો પોતાના બાળકને ખાનગી શાળામાં પ્રવેશ આપવાનું પસંદ કરતાં. પરંતુ હવે આ પ્રક્રિયામાં ફેરફાર આવ્યો છે. કેમ કે હવે લોકો ખાનગી શાળામાંથી (Private School) સરકારી શાળા તરફ વળ્યા છે. આ અમે નહિ પણ સરકારી આંકડા જ કહી રહ્યા છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેને નિવેદન આપ્યું કે ખાનગી શાળામાંથી 4500 જેટલા બાળકોએ (Students) શહેરની સરકારી શાળામાં પ્રવેશ લીધો. જે 2019 માં 3 હજારની સંખ્યા હતી તેના કરતાં વધુ છે. તો રાજ્યમાં 61 હજાર બાળકો ખાનગીમાંથી સરકારી શાળા તરફ વળ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
શહેરમાં કુલ 400 થી વધારે સરકારી શાળા છે અને તેમાં 4 હજારથી વધારે શિક્ષકો ફરજ બજાવે છે. 400 શાળામાં હવે 10 સ્માર્ટ શાળાનો સમાવેશ થતા સરકારી શાળાનું સ્તર વધ્યું છે. તો અન્ય 25 સ્માર્ટ શાળા અને 10 હાઈટેક શાળાની પ્રક્રિયા પણ કરાશે. હાલમાં શહેરની સરકારી શાળામાં કુલ 1.60 લાખથી વધારે બાળકો છે. પણ તેથી પણ મોટી વાત એ છે કે શિક્ષકો પણ શિક્ષિત અને ઉચ્ચ મેરીટ ધરાવતા સરકારી શાળામાં છે.
જેથી બાળકોને સારા શિક્ષણ મળવાની અપેક્ષા ત્યાં વધુ રહેલી છે અને માટે જ આ તમામ બાબતોને જોતા અને ખાસ કોરોનાકાળ દરમિયાન લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી પડતા લોકો ખાનગીમાંથી સરકારી શાળા તરફ વળ્યાનું સામે આવ્યું છે.
રાજ્યમાં 2014 ના ત્રણ વર્ષ બાદ સંખ્યા ઘટી જે બાદ ઉછાળા સાથે ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશનો આંક 61 હજાર પર પહોંચ્યો. જેમાં સ્કૂલ બોર્ડ ચેરમેને માત્ર કોરોનાને કારણે નહિ પણ તે પહેલાથી સરકારી શાળામાં એડમિશનની સંખ્યા વધી હોવાનું નિવેદન આપ્યું. તો આ વર્ષે નવા એડમિશનનો આંક 25 હજાર સુધી પહોંચે તેવું સ્કૂલ બોર્ડનું અનુમાન છે. તો લોકોએ પણ આર્થિક પરિસ્થિતિ નબળી પડતા સરકારી શાળા તરફ વળ્યાનું સ્વીકાર્યું.
ખાનગીમાંથી સરકારી શાળામાં આવવાનો વર્ષ પ્રમાણે રાજ્યનો આંકડો જોઈએ તો 2014 માં 45 હજાર બાળકો હતા. બાદમા 2015 માં 49 હજાર અને 2016 માં 59 હજારથી વધારે સંખ્યા થઈ. 2017 માં 51 હજાર, 2018 અને 2019 માં 50 હજાર પર આંકડો પહોંચ્યો હતો. 2020 માં કોરોનાને કારણે શાળા બંધ રહી, જ્યારે 2021 માં વિદ્યાર્થીની સંખ્યા 61 હજાર પર પહોંચી છે.
આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે સરખેજ-ગાંધીનગર હાઇવેના બે બ્રિજનું લોકાર્પણ કરશે
આ પણ વાંચો : AHMEDABAD : વરસાદે વિરામ લેતા જ AMCએ 6 ઝોનમાં પેચવર્કનું કામ કર્યું, છતા સમસ્યાનો ઉકેલ નહીં