AHMEDABAD : વરસાદે વિરામ લેતા જ AMCએ 6 ઝોનમાં પેચવર્કનું કામ કર્યું, છતા સમસ્યાનો ઉકેલ નહીં
AMC દ્વારા 7 ઝોન માંથી 6 ઝોનમાં કામગીરી કરવામાં આવી અને હજુ પણ કામગીરી ચાલુ રહી છે. જેની અંદર 6 ઝોનમાં 170 કરતા વધુ સ્થળ પર 7414 જેટલા ચોરસ મીટરમાં રસ્તાના પેચવર્કની કામગીરી કરવામાં આવી.
AHMEDABAD : અમદાવાદ મહાનગરમાં વરસાદ આવવો અને રસ્તા પર ખાડા પડવાની જેમ મોન્સૂન પ્લાન ધોવાઈ જવો આ સામાન્ય બાબત બની ગઈ છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં વરસાદે રસ્તાની હાલત બેહાલ કરી છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) ના પેટનું પાણી નથી હલી રહ્યું. કેમ કે જ્યાં કામગીરીની ઉણપને લઈને કોન્ટ્રાકટર સામે પગલાં લેવા જોઈએ ત્યાં તંત્ર માત્ર કામગીરીની જ વાતો કરી રહ્યું છે.
AMCએ 6 ઝોનમાં પેચવર્કનું કામ કર્યુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) ની રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન જણાવ્યું કે તેઓ વરસાદમાં ખરાબ થઈ ગયેલા રસ્તાને સુધારવા દિવસ રાત કામ કરી રહ્યા છે. જેમાં 7 ઝોન માંથી 6 ઝોનમાં કામગીરી કરવામાં આવી અને હજુ પણ કામગીરી ચાલુ રહી છે. જેની અંદર 6 ઝોનમાં 170 કરતા વધુ સ્થળ પર 7414 જેટલા ચોરસ મીટરમાં રસ્તાના પેચવર્કની કામગીરી કરવામાં આવી. જેમાં મશીનરીની પણ મદદ લેવાઈ. જોકે એક સાઉથ ઝોનમાં ટેન્ડર મંજુર નહિ થયું હોવાને લઈને ત્યાં કામગીરીની વિગતો સામે નથી આવી. ઝોન પ્રમાણે કામગીરી જોઈએ તો…
1)વેસ્ટ ઝોનમાં 50 સ્થળે 985 ચોરસ મીટર
2) સાઉથ ઝોનમાં ટેન્ડર મંજૂરીમાં
3) ઇસ્ટ ઝોનમાં નવું ટેન્ડર, જૂનમાં 96 ચોરસ મીટર કામ થયું
4) નોર્થ ઝોનમાં 37 સ્થળે 796 ચોરસ મીટર કામ થયું
5) સેન્ટ્રલ ઝોનમાં 3502 ચોરસ મીટર કામ થયું
6)સાઉથ વેસ્ટ ઝોનમાં 89 સ્થળ અને 1128 ચોરસ મીટરમાં કામ થયું
7) નોર્થ વેસ્ટ ઝોનમાં 907 ચોરસ મીટર કામ થયું
આ વિસ્તારોમાં સમસ્યા યથાવત જોકે અમદાવાદમાં હજી પણ એવા કેટલાક વિસ્તાર છે જ્યાં કામ નહીં થતા અને ખરાબ રસ્તાને કારણે લોકો ને હાલાકી પડે છે. જેમાં મેમકો અને સૈજપુર ગામ વિસ્તાર કે જે રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી ચેરમેનનો વિસ્તાર છે ત્યાં અને મેઘાણીનગર વિસ્તારમાં ખોદકામને લઈને લોકોને ટ્રાફિક સહિતની હાલાકી પડતી હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે. તો વિરાટનગર અને નરોડા સહિત પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કેટલાક રસ્તાઓની હાલત ખરાબ છે. અહીં કામગીરી કરવાની તાકીદની જરૂરિયાત લાગી રહી છે.
વિપક્ષે કર્યા પ્રહારો તો આ તરફ વિપક્ષે પણ AMCની કાનગીરીને લઈને નિશાન સાધ્યું અને ખુદ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેનના વિસ્તારની હાલત ખરાબ હોવાનું જણાવી મંજૂરી વગર ખોદાતા ખાડા નહિ ખોદી લોકોની સમસ્યા દૂર કરવા માટે માંગ કરી.
ત્યારે હવે સવાલ એ થાય છે કે AMC તંત્ર હાલ આંકડા તો રજૂ કરી રહ્યું છે પણ તે આંકડા પ્રમાણે કામગીરી થઇ રહી છે કે કેમ અનેં જો થઈ રહી છે તો શહેરમાં 170 કરતા વધુ સ્થળ પર રસ્તાને નાની કે મોટી ક્ષતિ પહોંચી છે તે સ્પષ્ટ બાબત છે. જેની સામે આગામી વર્ષોમાં આવી ઘટનાઓ ન બને તેના પર AMCએ વધુ ધ્યાન આપવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે., અને ત્યારે જ ખરેખર શહેરજનોની સમસ્યા દૂર થશે તેમ કહેવાશે.
આ પણ વાંચો : AHMEDABAD : સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય-પાણીજન્ય રોગચાળાથી બચવા પૂર્વેની અસરકારક કામગીરી