દોરડું બાંધી દીધું એટલે જવાબદારી પૂરી ? AMC ની કામગીરી સામાન્ય વરસાદમાં જ ધોવાઈ ગઈ, ફૂટપાથ બેસી જતાં ઉઠ્યા ગંભીર સવાલો
અમદાવાદના પોશ વિસ્તારમાંથી એક ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. અહીં હજુ તો ચોમાસાની શરૂઆતનો સામાન્ય વરસાદ જ પડ્યો છે, ત્યાં જ રસ્તાઓ પર ખાડા પડવાની અને ફૂટપાથ બેસી જવાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. એવામાં સવાલ એ થાય છે કે, સ્માર્ટ સિટીના આવા ગાંડા વિકાસ વચ્ચે રાહદારીઓની સુરક્ષાનું શું? આ હાલાકીમાંથી જનતાને રાહત ક્યારે મળશે?

અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા પ્રહલાદનગર રોડ પર ફૂટપાથ બેસી જવાની એક ગંભીર ઘટના સામે આવી છે. હરણ સર્કલ જેવા પ્રતિષ્ઠિત વિસ્તારમાં આનંદનગર એસટી (ST) સ્ટોપની આસપાસનો આખેઆખો ફૂટપાથ તૂટી પડતાં અહીંથી પસાર થતા રાહદારીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
AMC ની ‘નબળી કામગીરી’
નવાઈની વાત એ છે કે, માત્ર સામાન્ય વરસાદમાં જ આ ફૂટપાથ બેસી ગયો છે, જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની નબળી કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા ફૂટપાથ તૂટ્યા બાદ માત્ર આસપાસની જગ્યાને કોર્ડન (Cordon) કરીને સંતોષ માની લેવામાં આવ્યો છે પરંતુ રાહદારીઓની સુરક્ષાને લઈને કોઈ નક્કર પગલાં લેવાયા નથી.
જોવા જેવું એ છે કે, અમદાવાદમાં હજુ તો સામાન્ય વરસાદમાં જ વિવિધ જગ્યાઓ પર ખાડા પડવા અને ફૂટપાથ બેસવાની ઘટના સામે આવી છે, જેમાં નવા લગાવાયેલા હોર્ડિંગની આસપાસનો ફૂટપાથ બેસતા આસપાસની જગ્યા કોર્ડન કરાઈ છે. હવે આ ઘટના બાદ જનતાના મનમાં ઘણા સવાલો ઊભા થયા છે.
આ સવાલના જવાબ કોણ આપશે?
એવામાં સવાલ એ જ છે કે, ‘તંત્ર’ ઊંઘમાં કેમ છે? પ્રહલાદનગર જેવા પોશ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં આખેઆખો ફૂટપાથ જમીનમાં બેસી ગયો, તો શું AMC ની પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ હતી?
આખરે આ તંત્ર શું સાબિત કરવા માંગે છે? ફૂટપાથ તૂટ્યા પછી તંત્રએ માત્ર દોરડું બાંધીને સંતોષ માની લીધો પણ ત્યાંથી પસાર થતા હજારો રાહદારીઓની સુરક્ષાનું શું? ‘તંત્ર’ આનો કાયમી ઉકેલ ક્યારે લાવશે?
