Ahmedabad : નારણપુરા વિસ્તારમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, 2 આરોપી પોલીસ સકંજામાં
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે.પોલીસે ચોરી કરનાર બે આરોપીની ધરપકડ કરી 15 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે બે રીઢા આરોપીઓની ધરપકડ કરી છે.જ્યારે વધુ એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે.પોલીસે ચોરી કરનાર બે આરોપીની ધરપકડ કરી 15 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે બે રીઢા આરોપીઓની ધરપકડ કરી છે.જ્યારે વધુ એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા ડી કે પટેલ હોલની બાજુમાં ફ્રેન્ડ કોલોનીના એક મકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો.ફ્રેન્ડ્સ કોલોનીના મકાન નંબર 14માં પાછળના રૂમની લાકડાની બારી અને લોખંડની ગ્રીલ તોડી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.
ઘરમાં રહેલી તિજોરી અને કબાટમાંથી સોનાના દાગીના, ચાંદીના વાસણો, ચાંદીના સિક્કા અને રોકડ રૂપિયા સહિત કુલ 25 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. ભોગ બનનારની ફરિયાદને આધારે ઝોન વન એલસીબી અને નારણપુરા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.
કોણ છે આ રીઢા ચોર અને કઈ રીતે આવ્યા એકબીજાના સંપર્કમાં
ચોરીની ફરિયાદને આધારે પોલીસે બે રીઢા ચોરની ધરપકડ કરી છે. પોલીસે વિજય ઉર્ફે સંદીપ મકવાણા અને ચતુરસિંહ ઉર્ફે સંજયની ધરપકડ કરી છે.જો કે ચોરીને અંજામ આપવામાં વધુ એક ફરાર આરોપીને શોધખોળ પણ હાથ ધરી છે.
પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે વિજય ઉર્ફે સંદીપ ચોરીને અંજામ આપનાર મુખ્ય વ્યક્તિ છે અને બંને આરોપીઓ અગાઉ બોપલની એક કંપનીમાં નોકરી દરમિયાન સંપર્કમાં આવ્યા હતા.
આરોપી ચતુરસિંહ સિક્યુરિટી તરીકે કામ કરતો હતો અને તેણે વિજયને ચોરી કરવા માટે કોઈ તક મળે તો જાણ કરવા માટે જણાવ્યું હતું. જેથી ચતુરસિંહની ટિપના આધારે અન્ય બે આરોપીઓએ ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે બંને આરોપીઓ પાસેથી 16 લાખ જેટલી રકમનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આખા શહેરમાં આપ્યો છે ચોરીઓનો અંજામ
પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અગાઉ અમદાવાદ શહેરની અલગ અલગ જગ્યા ઉપર ચોરીઓને અંજામ આપી ચૂક્યા છે. તેમના વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, સરખેજ, કાલુપુર, એલિસબ્રિજ, કાગડાપીઠ, સેટેલાઈટ, દાણીલીમડા, કારંજ, નવરંગપુરા, મણીનગર, નારણપુરા સહિતના વિસ્તારોમાં ચોરીને અંજામ આપવા મામલે 43 જેટલી ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે.
બે વખત પાસાની સજા પણ ભોગવી ચુક્યો છે.હાલ તો પોલીસે બે રીઢા ચોરની ધરપકડ કરી અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી છે.પોલીસ તપાસ કરી રહી છે કે ચોરીને અંજામ આપવામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ અથવા તો આ ત્રણેય આરોપીઓએ વધુ કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.