આદિવાસી વોટબેંકને મજબૂત કરવા કોંગ્રસે લગાવ્યુ એડીચોટીનું જોર, રાહુલ ગાંધી 12 જૂને ફરી ગુજરાતમાં આદિવાસી સભા સંબોધશે
રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) પહેલા બીજી વખત ગુજકાતની મુલાકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધી 12 જુને દક્ષિણ ગુજરાતના વાંસદા તાલુકાના ચારણવાડા ગામમાં આદિવાસી સત્યાગ્રહ સંમેલનનને સંબોધવાના છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઇને ગુજરાતમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. વિવિધ પક્ષો મતદારોને આકર્ષવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કેન્દ્રીય નેતાઓ એક પછી એક પોતાની ગુજરાત મુલાકાત વધારી રહ્યા છે. ભાજપને મજબુત કરવા માટે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને અમિત શાહની ગુજરાત મુલાકાત પછી કોંગ્રેસને મજબુત બનાવવા રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધી 12 જૂને દક્ષિણ ગુજરાતના વાંસદા તાલુકાની મુલાકાત લેશે અને વિશાળ જનસભાને સંબોધન કરશે.
આદિવાસી સત્યાગ્રહ સંમેલનનને સંબોધશે રાહુલ ગાંધી
રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા બીજી વખત ગુજકાતની મુલાકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધી 12 જૂને દક્ષિણ ગુજરાતના વાંસદા તાલુકાના ચારણવાડા ગામમાં આદિવાસી સત્યાગ્રહ સંમેલનનને સંબોધવાના છે. વિધાનસભા ચૂંટણી પહેલા આદિવાસી વોટ બેંકને મજબુત કરવા માટે કોંગ્રેસ તનતોડ મહેનત કરી રહ્યુ છે. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા સતત કાર્યક્રમો પણ આપી રહ્યા છે. ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે અને આદિવાસી સમાજને કોંગ્રેસ તરફ આકર્ષવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ સભા પછી પણ ગુજરાતમાં ઝોન વાઇસ કોંગ્રેસની સભાઓ યોજાવાની છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના ઝોનમાં તબક્કાવાર કોંગ્રેસની સભાઓ યોજાવાની છે. કોંગ્રેસનું ચોમાસા પહેલા આ કાર્યક્રમો અને સભાઓ યોજવાનું આયોજન છે. વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ ખૂબ ઓછી બેઠકના માર્જીનથી સરકાર બનાવી શકી ન હતી. ત્યારે કયા ક્ષેત્રમાં વિસ્તારમાં કેટલા મતોથી આ બેઠકો મળી શકી ન હતી તેનો સર્વે કરીને આ વિસ્તારોમાં વધુ મહેનત કરી શકાય તે માટે કોંગ્રેસ પ્રયાસો કરી રહી છે.
આ પહેલા રાહુલ ગાંધીએ 10 મેના રોજ દાહોદ જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે દાહોદમાં આદિવાસી સમાજની સભાને સંબોધન કર્યુ હતુ. તાપી-નર્મદા લીંક પ્રોજેક્ટને લઇને આદિવાસી સમાજનો વિરોધ તેમજ આદિવાસી સમાજની સર્ટિફીકેટથી માંડીને વિવિધ અન્ય સમસ્યાઓને લઇને રાહુલ ગાંધીએ વાત કરી હતી. આ સમયે આદિવાસી સંમેલન બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના તમામ ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. રાહુલ ગાંધીએ આદિવાસી વિસ્તારના તમામ આગેવાનો સાથે પણ વિશેષ સંવાદ બેઠક યોજી સ્થાનિક પરિસ્થિતિ વિશે ચર્ચા કરી હતી.