Gujarat Election 2022 : વડાપ્રધાન મોદી વિરુદ્ધ કોંગ્રેસે ચૂંટણીપંચમાં નોંધાવી ફરિયાદ, મતદાન પહેલા પ્રચાર કર્યો હોવાનો આરોપ
PM મોદી વિરુધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, અમદાવાદ DEO પાસેથી ચૂંટણી પંચે રિપોર્ટ મંગાવ્યો હતો. જેમાં સામે આવ્યુ છે કે PM નરેન્દ્ર મોદી રાણીપ મતદાન કેન્દ્ર પર ગયા હતા. ત્યાં જાતે લોકો આવ્યા હતા અને તેમણે કોઈ પણ પ્રકારનો પ્રચાર કર્યો નહોતો.
Gujarat Vidhansabha Election : ગઈકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાન થયુ હતુ. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમદાવાદની રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતુ. આ દરમિયાન PM મોદી ચાલતા ગયા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યુ હતુ. આથી કોંગ્રેસે ચૂંટણીપંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી હતી.
કોંગ્રેસ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી
કોંગ્રેસના ઈલેક્શન કમિટીના કો-ઓર્ડિનેટર બાલુભાઈ પટેલે કહ્યું હતુ કે,PM મોદી રાણીપના મતદાન મથકથી 500-600 મીટર કોન્વોયને થોડે દુર ઉભો રાખી તેમની કારમાંથી નીચે ઉતર્યા અને આસપાસ એકઠા થયેલા લોકોની સાથે ચાલતા ગયા. આ આચારસંહિતાનું ઉલ્લંઘન છે. આ સાથે કોંગ્રેસે વડાપ્રધાન મોદી સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી. મહત્વનું છે કે યોગેશ રવાણીએ મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીને મળીને ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતુ કે ચૂંટણી પંચે અમને ખાતરી આપી છે કે તેઓ આ મુદ્દે તપાસ કરશે.
PM મોદીએ કોઈ પણ પ્રકારનો પ્રચાર કર્યો નથી : ચૂંટણી પંચ
મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ બીજા તબક્કાના મતદાન બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતુ કે બીજા તબક્કાના 14 જિલ્લામાં મતદાન શાંતિપૂર્ણ રીતે પુરૂ થયુ છે. દિવસ દરમિયાન કુલ 312 ફરિયાદ આચાર સહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. વડાપ્રધાનના રોડ શો ફરિયાદ મામલે પણ મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, અમદાવાદ DEO પાસેથી ચૂંટણી પંચે રિપોર્ટ મંગાવ્યો હતો. જેમાં સામે આવ્યુ છે કે PM નરેન્દ્ર મોદી રાણીપ મતદાન કેન્દ્ર પર ગયા હતા ત્યાં જાતે લોકો આવ્યા હતા અને તેમણે કોઈ પણ પ્રકારનો પ્રચાર કર્યો ન હોવાની સ્પષ્ટતા કરી છે.
(વીથ ઈનપૂટ- રોનક વર્મા, અમદાવાદ)