Anand: NRIના મકાનમાં ચોકીદારની હત્યાનો ભેદ દોઢ માસ બાદ ઉકેલાયો, જાણો કેવી રીતે પોલીસને મદદરૂપ થયા બાતમીદારો અને ઝડપાયા આરોપી
Anand: જિલ્લાના બોરસદ તાલુકાનું ભાદરણ ગામમાં આવેલ અલકાપુરી વિસ્તારમાં NRIના બંગલામાં હત્યાની ઘટના બની હતી.
Anand: જિલ્લાના બોરસદ તાલુકાનું ભાદરણ ગામમાં આવેલ અલકાપુરી વિસ્તારમાં NRIના બંગલામાં હત્યાની ઘટના બની હતી. હત્યા કરનાર મહીસાગર નદી કિનારે આવેલ દહેવાણ ગામના 5 શખ્સો હતા. દહેવાણ ગામમાં રહેતા વિક્રમ મહિજી તળપદા, સંજય જેસંગ તળપદા, ઝીણા બુધા તળપદા, ગોપાલ જીલુ તળપદા, અને ભૂરા હિંમત તળપદા ભાદરણ ગામે અલકાપુરી વિસ્તારમાં આવેલ NRIના બંગલામાં ચોરી કરવા આવ્યા હતા અને ચોરીના કામને અંજામ આપતા હતા ત્યારે ઘરના ચોકીદારી કરતા રમતુભાઈ આશાભાઈ ભોઈ ઉમર 65 વર્ષ જાગી ગયા હતા.
બાદમાં પાંચેય ચોરને પડકાર આપી ભગાડવાનો પ્રયાસ કરતા પાંચેય ચોરોએ એકત્ર થઈ રમતુભાઈ ને પકડી રાખી પગલુછણીયાની મદદથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી. બાદમાં લૂંટ કે ચોરી કર્યા વિના ફરાર થઈ ગયા જે ઘટનાની જાણ ભાદરણ પોલીસને કરવામાં આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
હત્યાની ચકચારી ઘટના જિલ્લામાં હાઈપ્રોફાઈલ એટલે થઈ ગઈ હતી કે ચરોતર પ્રદેશમાં મોટા ભાગના લોકો પોતાના ઘરો ચોકીદારને હવાલે મૂકી વિદેશમાં વસવાટ કરતા હોય છે. જેથી અન્ય પણ આવી ઘટનાઓ બને તો પોલીસની કામગીરી પર આંગળી ચિધાય, જેથી આણંદ જિલ્લા પોલીસ વડાએ જિલ્લાની એલસીબી ,એસઓજી અને પેરોલ ફ્લો સ્કવોર્ડ અને ભાદરણ પોલીસને હત્યાનો આ ગુનો ઉકેલવા કડક સૂચના આપી હતી.
પરંતુ ઘટના સ્થળેથી કોઈ એવા પુરાવા હાથ ન લાગતા ઘટનાને 40 દિવસનો સમય વીતવા છતાં પણ કોઈ નોંધપાત્ર પરિણામ મળ્યું ન હતું. જોકે આ હત્યાની આ ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસ વડા અજિત રાજયણ દ્વારા એસઆઇટી બનાવવામાં આવી હતી જેથી એસ આઇટીના અધ્યક્ષ પેટલાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર એલ સોલંકીએ તપાસની દિશામાં જિલ્લામાં અલગ અલગ સ્થળો પર બાતમીદારોનું નેટવર્ક સુપર સોનિક ગતિએ એક્ટિવ કરાવી દઈ તપાસ હાથ ધરી હતી.
બાતમીદારોના નેટવર્કથી પેટલાદ dyspની એક બાતમી હાથ લાગી હતી કે, જાંબુની સીઝનમાં ભાદરણની આસપાસ મોટા ભાગે દહેવાણના કેટલાક લોકો આવતા હોય છે. જે નાની મોટી ચોરીના કામને પણ અંજામ આપે છે. જેથી પોલીસે ભાદરણ ગામે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે વિક્રમ મહિજીભાઈ તળપદાને પોલીસે રાઉન્ડ અપ કરી યુક્તિ પ્રયુક્તિથી તપાસ હાથ ધરતા વિક્રમે પોલીસ સમક્ષ વટાણા વેરી નાખી પોતાના સાથીઓ સાથે જ ચોરીના કામને અંજામ આપ્યો હોવાની વાત કબૂલી હતી. જોકે ચોકીદાર જાગી જતા તેની હત્યા કરી નાખવામાં આવી હોવાની વાત કરતા જ પોલોસે વિક્રમ તળપદા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ગોપાલ જીલુ તળપદા અને ભૂરા હિંમત તળપદા ફરાર હોવાથી પોલીસે તેની તપાસ હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓએ પોલીસ સમક્ષ અગાઉ વાલવોડ ગામે ,કોસિન્દ્રા ગામે અને લાલપુરા ગામે ચોરી કર્યાની કબૂલાત કરી છે. જોકે હવે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે અને તેમાં અન્ય ગુનાઓ પરથી ભેદ ઉકેલાવાની શક્યતાઓ પેટલાદ dysp આર એલ સોલંકી વ્યક્ત કરી રહ્યાં છે.
આ પણ વાંચો:IBPS Result 2021 : RRB PO મેઈન્સ પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે ચકાસો પરિણામ