Ahmedabad : નિકોલમાં ડૉગ-બર્થ ડે પાર્ટીમાં કોરોના નિયમોનો ભંગ, પોલીસની કામગીરી પર સવાલો ઉઠયા
નિકોલના મધુવન પાર્ટી પ્લોટમાં એક બર્થડે પાર્ટીનું આયોજન થયું પણ તે પાર્ટી એક શ્વાનના જન્મ દિવસને લઈને યોજાઈ. જે પાર્ટી પ્લોટમાં એટલા લોકો ભેગા થયા કે ના પૂછોને વાત.અને આ તમામ લોકો બેદરકાર પણ બન્યા.
અમદાવાદ શહેરમાં કોરોના નિયમોનો છાશવારે ભંગ થઇ રહ્યો છે. ત્યારે આ વખતે કોઈ યુવકોના બર્થડે સેલિબ્રેશન નહિ પણ એક પાલતું શ્વાનના જન્મદિવસની ઉજવણી થઈ અને તે પણ નિયમો નેવે મૂકીને. એક પાર્ટી પ્લોટમાં થયેલા આયોજનમાં 100થી વધુ લોકો નિયમો ભંગ કરી ભેગા થયા. અને આખરે વિડીયો વાયરલ થતા પોલીસે કામગીરી કરવી પડી.
નિકોલના મધુવન પાર્ટી પ્લોટમાં એક બર્થડે પાર્ટીનું આયોજન થયું પણ તે પાર્ટી એક શ્વાનના જન્મ દિવસને લઈને યોજાઈ. જે પાર્ટી પ્લોટમાં એટલા લોકો ભેગા થયા કે ના પૂછોને વાત.અને આ તમામ લોકો બેદરકાર પણ બન્યા. કેમ કે સોશ્યલ ડિસ્ટનસનો અભાવ હતો. પણ સાથે લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા. ના તો આયોજકે પાર્ટી માટે કોઈ મંજૂરી લીધી હતી. જે પાર્ટીના વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી.જોકે પોલીસે આ ઘટનામાં માત્ર ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો. જેમાં ચિરાગ ઉર્ફે ડાગો પટેલ, ઉર્વીશ પટેલ અને દીવ્યેશ મહેરિયાની ધરપકડ કરી.
હકીકતએ પણ છે કે નિકોલ પોલીસ પોતાના વિસ્તારમાં નિષ્ક્રિય રહી છે. અનેક લોકો કોરોના કાળમાં નિયમો ભંગ કરે છે. પણ તેના વિડીયો વાયરલ થયા બાદ જ પોલીસ એક્ટિવ થાય છે. માત્ર ગુના નોંધી અટકાયત કરી કામગીરી બતાવી સંતોષ માને છે. પણ અહીંના બેજવાબદાર અધિકારીઓને લોકોની પડી નથી.
એટલું જ નહીં પણ માત્ર બિલ્ડરો અને નેતાઓની ચાપલુસી કરી રોકડા કમાવવામાં જ જાણે રસ હોય તેવા કામ અહીંના અધિકારીઓ કરતા હોવાની ચર્ચા છે. જે વાત ચાડી ખાય છે કે અહીંના અધિકારીઓ ખાઈ બઠેલા છે અને જનતા તેનો ફાયદો ઉઠાવી રહી છે. જોકે અધિકારી આ મામલે કાર્યવાહી કરતા હોવાનું રટણ રટ્યું.
આ કેસમાં પોલીસની વધુ એક બેદરકારી પણ સામે આવી કે જો દાખલારૂપ કેસ કરવો જ હોત તો આયોજકની સાથે સિંગર અને હાજર તમામ લોકો સામે પણ કાર્યવાહી કરી હોત. પણ પોલીસે વાયરલ વિડીયોના લીધે માત્ર અધિકારીઓને બતાવવા ત્રણ લોકો સામે જ કાર્યવાહી કરી અને અન્ય લોકોને બચાવી લીધા. ત્યારે સ્થાનિક અધિકારીઓ પર ઉચ્ચ અધિકારીઓ કોઈ પગલાં લે છે કે તેરી ભી ચૂપ ઔર મેરી ચૂપ જેવો ઘાટ ઘડાય છે તે જોવું રહેશે.
આ પણ વાંચો : Surat : કોરોના સંક્રમણનો રોજે રોજ નવો રેકોર્ડ, આજે બપોર સુધી શહેરમાં વધુ 750 નાગરિકો સંક્રમિત
આ પણ વાંચો : NARMADA : કેવડિયા રેલવે સ્ટેશનનું નવુ નામ એકતા નગર રખાયુ