4 વર્ષે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવાનું કારણ શું ? યુદ્ધ સિવાયના આ કારણો તમારુ બજેટ ખોરવી નાખશે !
વૈશ્વિક તણાવમાં વધારો અને ક્રુડ ઓઈલના ભાવમાં વધારાને કારણે તમારા ઘરનુ બજેટ અસ્તવ્યસ્ત થઈ ગયું હશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ અચાનક અને તીવ્ર વધારા માટે મુખ્યત્વે ચાર મુખ્ય પરિબળો જવાબદાર છે. જેમાં ઈર-ઈઝરાયેલ-અમેરિકા યુદ્ધ અને વ્યાપક વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાનો પણ સમાવેશ થાય છે.

હૈદરાબાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને 10 મુદ્દાની કરેલ અપીલ બાદ, બીજા જ દિવસે ગુજરાતની ધરતી પરથી ફરી દેશની જનતાને કરકસર અંગે અપીલ કરી હતી. આ અપીલને લઈને દેશની કેટલાક લોકોને અંદેશો આવી ગયો હતો કે, કંઈક મોટુ થવાનુ છે. વડાપ્રધાન તેની પૂર્વભૂમિકા બાધી રહ્યાં છે અને થયું પણ એવું જ. દેશના કેટલાક રાજ્ય સરકારોએ પીએમ મોદીની અપીલને માન આપીને કરકસરના પગલાં લેવાની શરૂઆત કરી દીધી. તો બીજી તરફ રાતોરાત પેટ્રોલ-ડીઝલ અને સીએનજીમાં ભાવ વધારો કરી નાખવામાં આવ્યો.
ભાવમાં નોંધપાત્ર વધારો થવાથી સામાન્ય માણસની ચિંતા વધી ગઈ છે. આમેય વધતા જતા ફુગાવાથી મધ્યમવર્ગ મોંધવારીના મારથી પીસાઈ રહ્યો હતો. તેમાય, ઈંધણમાં પ્રતિ લિટર ₹3 સુધીનો આ વધારો એક મોટા આંચકાથી ઓછો નથી. આવા સંજોગોમાં એવુ મનમાં જરૂર થાય કે, અચાનક એવુ તો શુ થયુ કે ચાર વર્ષે ઓઈલ કંપનીઓને ભાવ વધારવાની ફરજ પડી? આના જવાબ છે ચાર મુખ્ય પરિબળો, જેણે સામૂહિક રીતે ઈંધણના ભાવને આસમાને પહોંચાડ્યા છે.
ઈરાન સંઘર્ષ અને પુરવઠામાં વિક્ષેપ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાનું પ્રાથમિક અને સૌથી તાત્કાલિક કારણ મધ્ય પૂર્વમાં ઈરાન સાથે ઈઝરાયેલ અને અમેરિકાનુ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો બંધ હોવા અંગે છે. ખાસ કરીને, ઈરાન વિશ્વના અગ્રણી તેલ ઉત્પાદક દેશોમાંનો એક છે, અને વૈશ્વિક તેલ પુરવઠાનો નોંધપાત્ર ભાગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ જેવા મહત્વપૂર્ણ માર્ગોમાંથી પસાર થાય છે. યુદ્ધના ભય અને પ્રવર્તમાન તણાવને કારણે આ દરિયાઈ માર્ગ દ્વારા વહેતો પુરવઠો ખોરવાઈ ગયો છે. જેના કારણે તેલની વૈશ્વિક ઉપલબ્ધતા અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો
ભારતીય તેલ કંપનીઓ તેમની ક્રૂડ ઓઈલની જરૂરિયાતોનો 80 ટકાથી વધુ વિદેશી સ્ત્રોતોમાંથી ખરીદે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, તાજેતરના ભૂતકાળમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે વૈશ્વિક બજારમાં પ્રતિ બેરલ ક્રૂડ ઓઇલના ભાવ વધે છે, ત્યારે ભારતીય રિફાઇનરીઓ માટે તેને ખરીદવું વધુ મોંઘું થઈ જાય છે. આ વધેલા ખર્ચને સરભર કરવા માટે, સરકારી માલિકીની અને ખાનગી તેલ કંપનીઓ સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં વધારો કરે છે.
ભારતીય તેલ કંપનીને થયેલ નુકસાન
ઘણા સમયથી, આંતરરાષ્ટ્રીય દરોમાં વધઘટ છતાં સ્થાનિક ઇંધણના ભાવ સ્થિર રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. પરિણામે, ઇન્ડિયન ઓઇલ (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) જેવી કંપનીઓ “અંડર-રિકવરી” એટલે કે નાણાકીય નુકસાનનો સામનો કરી રહી હતી. આ કંપનીઓ તેમના સંચાલન ખર્ચ અને નફાકારકતા વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહી હતી. જો કે, આ નુકસાનને શોષવાની તેમની ક્ષમતા ઓછી થતી ગઈ અને ક્રૂડ ઓઇલ સતત મોંઘું રહ્યું, કંપનીઓએ આખરે તેમની નાણાકીય સ્થિતિને બચાવવા માટે આ વધેલા ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખ્યો.
વૈશ્વિક અનિશ્ચિતતા અને આર્થિક પરિબળો
વિશ્વભરમાં પ્રવર્તમાન આર્થિક અને રાજકીય અનિશ્ચિતતા એ બીજું એક મુખ્ય ફાળો આપતું પરિબળ છે. અમેરિકન ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને કારણે ભારત માટે ક્રૂડ ઓઇલની આયાત વધુ મોંઘી થઈ ગઈ છે, કારણ કે તેલ ખરીદી માટે ચૂકવણી ડોલરમાં જ થવી જોઈએ. વધુમાં, વૈશ્વિક રોકાણ બજારોમાં અનિશ્ચિતતા કોમોડિટીઝમાં સટ્ટાકીય વેપારને વેગ આપે છે, જે બદલામાં તેલના ભાવમાં વધારો કરે છે. સામૂહિક રીતે, આ વિવિધ વૈશ્વિક પરિબળોએ એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે જ્યાં તેલના ભાવને નિયંત્રિત કરવા સરકાર અને તેલ કંપનીઓ બંને માટે એક ભયંકર પડકાર બની ગયો છે.