Union Budget 2023 : બજેટની શરૂ થઇ પ્રક્રિયા, નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 21 નવેમ્બરથી વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોના અભિપ્રાય લેશે
બંધારણમાં 'બજેટ' શબ્દનો ઉલ્લેખ નથી છતાં સામાન્ય બજેટ તરીકે ઓળખવામાં આવે છે. બંધારણની કલમ 112માં બજેટને વાર્ષિક નાણાકીય નિવેદન કહેવામાં આવે છે. નાણાકીય નિવેદન એ તે વર્ષ માટે સરકારની અંદાજિત આવક અને ખર્ચનું વિગતવાર નિવેદન હોય છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળના છેલ્લા સંપૂર્ણ બજેટ માટે વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની પ્રિ-બજેટ બેઠકોનો દોર 21 નવેમ્બર 2022 થી શરૂ થવા જઈ રહ્યો છે. ચાર દિવસ સુધી નાણામંત્રી વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સાથે કુલ સાત બેઠકો કરશે. આ ઉપરાંત રાજ્યોના નાણા મંત્રીઓ સાથે મુદરાઈમાં GST મીટિંગની સાથે સાથે નાણામંત્રીની પ્રી-બજેટ મીટિંગ પણ થશે જેમાં બજેટમાંથી રાજ્યોની માંગણીઓ સાંભળવામાં આવશે.21 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી યોજાનારી પ્રી-બજેટ બેઠકમાં નાણામંત્રી સામાજિક ક્ષેત્ર ઉપરાંત ઉદ્યોગ, વેપારી ચેમ્બર, કૃષિ ક્ષેત્રના પ્રતિનિધિઓ તેમજ એગ્રો પ્રોસેસિંગ ઉદ્યોગ, નાણાકીય ક્ષેત્ર અને મૂડી બજાર, સેવાઓ અને વેપારના પ્રતિનિધિઓ હાજરી આપશે.
નાણાં મંત્રી ટ્રેડ યુનિયન અને મજૂર સંગઠન ઉપરાંત અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરશે અને બજેટ અંગે તેમના સૂચનો પણ લેશે. દર વર્ષે બજેટ તૈયાર કરતા પહેલા, નાણામંત્રી વિવિધ હિતધારકો સાથે તેમના મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ, મુખ્ય આર્થિક સલાહકાર સાથે બજેટ અંગેના તેમના સૂચનો સાંભળે છે. આ સાથે તમામ ક્ષેત્રોના પ્રતિનિધિઓ તેમના સૂચનો પત્ર નાણામંત્રીને સુપરત કરે છે. નીતિ આયોગ બજેટ અંગે ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બેઠક પણ કરે છે, જેમાં નીતિ આયોગના અધ્યક્ષ હોવાના કારણે વડાપ્રધાન તેમાં ભાગ લે છે.
10 ઓક્ટોબર, 2022 થી નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ વિવિધ મંત્રાલયો, સરકારી વિભાગો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓ સાથે બજેટને લગતા ઈનપુટ લઈ રહ્યા છે. નાણા મંત્રાલય સમક્ષ તમામ વિભાગો અને મંત્રાલયો તેમના તરફથી માંગણીઓ કરી રહ્યા છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ તેમનું પાંચમું બજેટ રજૂ કરશે. નાણામંત્રી પહેલા જ કહી ચૂક્યા છે કે આ વખતે બજેટમાં અર્થવ્યવસ્થાના વિકાસને આગળ ધપાવવાની સાથે ફુગાવાને કાબૂમાં લેવા પર ફોકસ કરવામાં આવશે.
બજેટ કેમ જાહેર કરાય છે?
બંધારણમાં ‘બજેટ’ શબ્દનો ઉલ્લેખ નથી છતાં સામાન્ય બજેટ તરીકે ઓળખવામાં આવે છે. બંધારણની કલમ 112માં બજેટને વાર્ષિક નાણાકીય નિવેદન કહેવામાં આવે છે. નાણાકીય નિવેદન એ તે વર્ષ માટે સરકારની અંદાજિત આવક અને ખર્ચનું વિગતવાર નિવેદન હોય છે.સરકારની આર્થિક નીતિની દિશા સામાન્ય બજેટમાં દેખાય છે. આમાં મંત્રાલયોને તેમના ખર્ચ માટે નાણાં ફાળવવામાં આવે છે. વ્યાપક રીતે તે આગામી વર્ષ માટેની કર દરખાસ્તોની વિગતો રજૂ કરે છે.