Share Market Opening Bell : સાપ્તાહિક કારોબારના છેલ્લા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત તેજીમાં થઇ છે. સમગ્ર સપ્તાહ દરમિયાન શેરબજાર લીલુ નિશાન જાળવવામાં સફળ રહ્યું હતું. સેન્સેક્સ 77729 જયારે નિફટી 23661 પર ખુલ્યો હતો.
આજે વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી 13 પોઈન્ટના વધારા સાથે ફ્લેટ હતો. અમેરિકન વાયદા બજારોમાં પણ મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. ગઈકાલે બજારો ઉછાળા સાથે બંધ થયા હતા.
યુરોપિયન બજારોમાં સારી વૃદ્ધિ દેખાઈ છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે દર 5.25% પર સ્થિર રાખ્યા છે. સ્વિસ નેશનલ બેંકે દરમાં 0.25%નો ઘટાડો કર્યો છે. સ્વિસ નેશનલ બેંકે માર્ચ પછી દરમાં બીજો ઘટાડો કર્યો છે તો બીજી તરફ યુ.એસ.માં મિશ્ર કારોબાર છે. ડાઉ 300 પોઈન્ટ ઉછળીને 39 હજારને પાર પહોંચ્યો છે. નવો રેકોર્ડ બનાવ્યા બાદ S&P 500 અને Nasdaqમાં પ્રોફિટ બુકિંગ થયું છે. S&P 500 એ પ્રથમ વખત ઇન્ટ્રાડેમાં 5500 ના સ્તરને સ્પર્શ કર્યો હતો.નાસ્ડેક 8મા દિવસે રેકોર્ડ બનાવ્યા બાદ 0.8% લપસી ગયો હતો. IT શેરોમાં મિશ્ર કારોબાર અને 10 વર્ષનું બોન્ડ યીલ્ડ 4.25%થી વધુ છે.
શરૂઆતી નબળાઈ બાદ ગુરુવારે શેરબજારમાં ખરીદી જોવા મળી હતી. બજાર સતત પાંચમા દિવસે નવી ઊંચાઈએ બંધ થયું હતું. સેન્સેક્સ 141.34 (0.18%) પોઈન્ટના વધારા સાથે 77,478.93ની નવી ટોચે બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 51.00 (0.22%) પોઈન્ટ વધીને પ્રથમ વખત 23,567.00 પર બંધ થયો હતો. સેન્સેક્સમાં JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, ICICI બેંક અને રિલાયન્સના શેર એક ટકાથી વધુના વધારા સાથે બંધ થયા હતા. બીજી તરફ ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ટીસીએસના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.
અમેરિકન આઈટી કંપની એક્સેન્ચરે ફરી એકવાર 2024 માટે તેના કમાણીના અંદાજમાં ઘટાડો કર્યો છે. આ અંગે માહિતી આપતાં કંપનીએ કહ્યું કે આર્થિક અનિશ્ચિતતાને કારણે ગ્રાહકો કન્સલ્ટિંગ સર્વિસ પર ખર્ચ ઘટાડી રહ્યા છે. વર્ષ 2024 માં આખા વર્ષ માટે આવક વૃદ્ધિ માર્ગદર્શિકા વિશે કંપનીએ કહ્યું કે તે વધારીને 1.5% – 2.5% કરવામાં આવ્યું છે. અગાઉ તે 1% થી 3% ની વચ્ચે હોવાનો અંદાજ હતો.
અહેવાલની ભારતીય IT કંપનીઓના બિઝનેસ પર અસર જોવા મળી શકે છે. ભારતીય IT કંપનીઓ 11 જુલાઈથી બિઝનેસ વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરવાનું શરૂ કરશે. TCS ના પરિણામો પહેલા જાહેર કરવામાં આવશે. એક્સેન્ચરનું મોટું વર્કફોર્સ ભારતમાં છે.
ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
Published On - 9:16 am, Fri, 21 June 24