અટલ ટનલમાંથી પસાર થતા વાહનો પાસેથી વસૂલવામાં આવશે ગ્રીન ટેક્સ, વિશ્વની સૌથી ઉંચી ટનલનો આનંદ માણવા માટે ચુકવવી પડશે આટલી રકમ
અટલ ટનલમાંથી પસાર થવા માટે ચૂકવવામાં આવતો ગ્રીન ટેક્સ માત્ર પ્રવાસીઓ માટે ખર્ચવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મનાલી-લેહ હાઈવે પર પ્રવાસીઓ માટે ગ્રીન ટેક્સ તરીકે એકત્રિત રકમ સાથે મૂળભૂત વિકાસ કરવામાં આવશે.
હિમાલયની પીર પંજાલ રેન્જમાં લેહ-મનાલી (Leh-Manali) હાઈવે પર બનેલી અટલ ટનલ (Atal Tunnel)માંથી પસાર થવા માટે હવે ગ્રીન ટેક્સ વસૂલવામાં આવશે.
અટલ ટનલ હિમાચલ પ્રદેશમાં 9.02 કિમીની લંબાઈ સાથે બનેલી એક અત્યાધુનિક ટનલ છે. આ ટનલ પરથી પસાર થતા તમામ પ્રવાસીઓએ મોટરસાઈકલ ચલાવવી હોય તો પણ તેમને ગ્રીન ટેક્સ ચૂકવવો પડશે. અટલ ટનલમાંથી પસાર થવા માટે ટુ-વ્હીલર્સને 50 રૂપિયા, કારને 200 રૂપિયા, એસયુવી અને એમયુવીએ 300 રૂપિયા અને બસ-ટ્રકને 500 રૂપિયા ગ્રીન ટેક્સ તરીકે ચૂકવવા પડશે.
માત્ર આ વાહનોને જ મળશે છૂટ
અહેવાલો અનુસાર માત્ર બહારના પ્રવાસી વાહનોને જ નહીં પણ લાહૌલ, કિશ્તવાડ અને પાંગી જતા વાહનોએ પણ અટલ ટનલમાંથી પસાર થવા માટે સરકારને ટેક્સ ચૂકવવો પડશે. જો કે રોજિંદા કામ સાથે જોડાયેલા વાહનોએ લાહૌલની મુસાફરી માટે ટેક્સ ચૂકવવો પડશે નહીં. ગ્રીન ટેક્સથી બચવા માટે આ વાહનોએ સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી વિશેષ પાસ મેળવવો પડશે, ત્યારબાદ તેમને ગ્રીન ટેક્સ ચૂકવવાની જરૂર રહેશે નહીં. સીસુ, લાહૌલ ખાતે સ્પેશિયલ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ગ્રીન ટેક્સ લેવામાં આવશે.
ગ્રીન ટેક્સથી કરવામાં આવશે વિકાસ કાર્યો
અટલ ટનલમાંથી પસાર થવા માટે ચૂકવવામાં આવતો ગ્રીન ટેક્સ માત્ર પ્રવાસીઓ માટે ખર્ચવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગ્રીન ટેક્સ તરીકે એકત્રિત થનારી રકમ દ્વારા મનાલી-લેહ હાઈવે પર પ્રવાસીઓ માટે મૂળભૂત વિકાસ કરવામાં આવશે. આ ઉપરાંત આ પૈસાથી આસપાસના ગામોમાં વિકાસના કામો પણ કરવામાં આવશે. જણાવી દઈએ કે અટલ ટનલ શરૂ થયા બાદ અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
ગયા વર્ષે પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે અટલ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ટનલનું નામ અગાઉ રોહતાંગ ટનલ તરીકે નક્કી કરાયું હતું, પરંતુ બાદમાં તેનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવ્યું. તમને જાણીને નવાઈ લાગશે કે 10 હજાર ફૂટની ઉંચાઈ પર બનેલી આ ટનલ દુનિયાની સૌથી લાંબી ટનલ છે. સામાન્ય લોકો માટે ટનલ ખુલી ત્યારથી મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિમી ઘટી ગયું છે. અગાઉ, આ રૂટ પર આ જ 46 કિલોમીટરનું અંતર કાપવામાં 4થી 5 કલાકનો સમય લાગતો હતો.
આ પણ વાંચો : INCOME TAX વિભાગે 26 લાખથી વધુ કરદાતાઓના ખાતામાં 70120 કરોડ રિફંડ કર્યા , આ રીતે જાણો તમારા રિફંડની સ્થિતિ