EPFO: 73 લાખ પેન્શનધારકો માટે સારા સમાચાર, EPFOએ કરી આ મોટી જાહેરાત
જુલાઈના અંતિમ સપ્તાહમાં 29 અને 30 તારીખે કર્મચારી ભવિષ્ય નિધિ (Employee Provident Fund) સંગઠનની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. માનવામાં આવે છે કે આ બેઠકમાં સેન્ટ્રલ પેન્શન ડિસ્બર્સલ સિસ્ટમની રચના માટે મંજૂરી આપવામાં આવી શકે છે.
રિટાયરમેન્ટ બોડી ઈપીએફઓ (EPFO)ની એક મહત્વપૂર્ણ બેઠક 29 અને 30 જુલાઈના રોજ યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય પેન્શન વિતરણ વ્યવસ્થાની (Central pension disbursal system) રચના અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. જેનો લાભ 73 લાખ પેન્શનધારકોને મળશે અને દરેકના ખાતામાં એકસાથે એક જ વારમાં પેન્શન ટ્રાન્સફર કરી શકાશે. હાલમાં EPFOની 138 પ્રાદેશિક કચેરીઓ છે. આ તમામ કચેરીઓ લાભાર્થીને તેમના પેન્શન ખાતામાં લાભ આપે છે. આવી સ્થિતિમાં પેન્શનધારકોને અલગ-અલગ દિવસે અને અલગ-અલગ સમયે પેન્શન મળે છે.
સમાચાર એજન્સી PTI દ્વારા સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર જુલાઈના અંતમાં યોજાનારી EPFOની બેઠકમાં કેન્દ્રીય પેન્શન વિતરણ વ્યવસ્થા શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવશે. આ દરખાસ્ત EPFOની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) સમક્ષ મૂકવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ સેન્ટ્રલ પેન્શન ડિસ્બર્સલ સિસ્ટમ 138 પ્રાદેશિક કચેરીઓના ડેટાનો ઉપયોગ કરશે અને ત્યારબાદ લગભગ 73 લાખ પેન્શનધારકોના બેંક ખાતામાં એકસાથે પેન્શન ટ્રાન્સફર કરવામાં આવશે.
પ્રાદેશિક કાર્યાલયનો ડેટા કેન્દ્રીય ડેટાબેઝમાં મૂકવામાં આવશે
સૂત્રોના જણાવ્યા મુજબ તમામ પ્રાદેશિક કચેરીઓ તેમના વિસ્તારના પેન્શનધારકોની જરૂરિયાતોને જૂદી-જૂદી રીતે ડીલ કરે છે. જેના કારણે પેન્શનધારકો જૂદાજૂદા દિવસોમાં પેન્શનની ચુકવણી કરવામાં આવે છે. 20 નવેમ્બર, 2021ના રોજ યોજાયેલી CBTની 229મી બેઠકમાં ટ્રસ્ટીઓએ C-DAC દ્વારા કેન્દ્રીય IT આધારિત સિસ્ટમ વિકસાવવા માટેની દરખાસ્તને મંજૂરી આપી હતી. શ્રમ મંત્રાલયે બેઠક બાદ એક નિવેદનમાં જણાવ્યુ હતું કે આ પછી પ્રાદેશિક કાર્યાલયોની વિગતો તબક્કાવાર રીતે કેન્દ્રીય ડેટાબેઝમાં ટ્રાન્સફર કરવામાં આવશે. જેનાથી આ સેવાઓનું સંચાલન અને ચુકવણી સરળ બનશે.
PF એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની ઝંઝટનો આવશે અંત
સેન્ટ્રલાઈઝ્ડ સિસ્ટમના અમલીકરણ સાથે EPFO સબસ્ક્રાઈબર્સને ઘણા લાભો મળશે. જેમાં કોઈ ડુપ્લિકેશન નહીં થાય, તેમ જ એક સભ્યના એક કરતા વધુ PF ખાતા મર્જર થયા પછી એક જ ખાતું બની જશે. જો કોઈ વ્યક્તિ નોકરી બદલે છે તો PF એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની ઝંઝટ પણ ખતમ થઈ જશે.
પેન્શન ખાતામાંથી ઉપાડના નિયમો બદલાઈ શકે છે
સૂત્રોએ એમ પણ જણાવ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ પેન્શન ખાતામાંથી ઉપાડને લઈને નવો નિયમ લાગુ કરવા પર પણ વિચાર કરી શકે છે. જે અંતર્ગત પેન્શન એકાઉન્ટમાંથી EPFO સબસ્ક્રાઈબર જો છ મહિનાથી ઓછું યોગદાન આપ્યું હશે તો પણ તે પેન્શન ખાતામાંથી સરળતાથી ઉપાડ કરી શકશે. વર્તમાન નિયમો મુજબ જો કોઈ સબસ્ક્રાઈબરે છ મહિનાથી 10 વર્ષ સુધી ફાળો આપ્યો હોય તો જ તે પેન્શન ખાતામાંથી ઉપાડી શકાય છે.