EPFO : દેશમાં નિવૃત્તિની ઉંમરમાં વધારો થઇ શકે છે, EPFOએ વય મર્યાદા વધારવાનું કર્યું સમર્થન, જાણો કારણ
EPFOએ તેના વિઝન ડોક્યુમેન્ટ 2047માં કહ્યું છે કે નિવૃત્તિની વય મર્યાદામાં વધારો એ અન્ય દેશો દ્વારા શીખેલા પાઠને અનુરૂપ હશે જેમણે આવી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે
આવનારા સમયમાં ભારતમાં નિવૃત્તિની વય મર્યાદા વધી શકે છે. ભવિષ્યને જોતા EPFO આ અંગેના તમામ પરિબળો તપાસી રહ્યું છે અને આ કારણોસર સંસ્થાએ મર્યાદા વધારવાનું સમર્થન કર્યું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર EPFO ઈચ્છે છે કે આવનારા સમયમાં દેશમાં વૃદ્ધ લોકોની વસ્તીના વધતા હિસ્સાને કારણે અને જીવનની સ્થિતિ વધુ સાનુકૂળ બનતી હોવાને કારણે નિવૃત્તિ મર્યાદાને આ સાથે જોડવાની જરૂર છે. રિપોર્ટ અનુસાર EPFO માની રહ્યું છે કે આવનારા સમયમાં દેશની વસ્તીનો મોટો હિસ્સો નિવૃત્તિની મર્યાદા સુધી પહોંચવાના કારણે પેન્શન ફંડ પર બોજ વધશે. આનો સામનો કરવા માટે હવેથી પગલાં ભરવાની જરૂર છે.
શું છે EPFOનો અભિપ્રાય?
EPFOએ તેના વિઝન ડોક્યુમેન્ટ 2047માં કહ્યું છે કે નિવૃત્તિની વય મર્યાદામાં વધારો એ અન્ય દેશો દ્વારા શીખેલા પાઠને અનુરૂપ હશે જેમણે આવી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે અને પેન્શન સિસ્ટમને વ્યવહારુ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. એવો અંદાજ છે કે વર્ષ 2047 સુધીમાં ભારતમાં લગભગ 140 મિલિયન લોકોની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હશે, જો નિવૃત્તિ મર્યાદા આ સ્તરે જ રહેશે તો તે પેન્શન ફંડ પર નોંધપાત્ર રીતે દબાણ વધારશે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે EPFO વય મર્યાદા વધારવાની યોજના બનાવી રહ્યું છે. એક મીડિયા રિપોર્ટમાં એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહ્યું કે જો વય મર્યાદા વધે છે તો સંચિત રકમ EPFO અને પેન્શન ફંડમાં લાંબા સમય સુધી રહેશે જે તેને ફુગાવાની અસરને સમાપ્ત કરવામાં મદદ કરશે. આ વિઝન ડોક્યુમેન્ટ રાજ્યો સાથે શેર કરવામાં આવ્યો છે અને તમામ હિતધારકો સાથે ટૂંક સમયમાં ચર્ચા શરૂ થશે.
ભારતમાં નિવૃત્ત લોકોની સંખ્યામાં વધારો થશે
ભારતમાં, સરકારી અને ખાનગી ક્ષેત્રમાં નિવૃત્તિ વય 58 થી 65 વર્ષની વચ્ચે છે. જોકે યુરોપિયન યુનિયનમાં 65 વર્ષ છે. ડેનમાર્ક, ઇટાલી, હોલેન્ડમાં 67 વર્ષ, અમેરિકામાં 66 વર્ષ છે. આ તમામ દેશોમાં સમગ્ર વસ્તીમાં વૃદ્ધ લોકોની સંખ્યા ઘણી વધારે છે. વર્ષ 2047 સુધીમાં આવી સ્થિતિ ભારતમાં પણ આવી શકે છે. વૃદ્ધ લોકોની સંખ્યામાં વધારો થવાથી નિવૃત્તિ લાભો અને પેન્શન ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે. જો કે, વધુ સારા જીવનધોરણ સાથે ઘણા લોકો લાંબા સમય સુધી કામ કરવા માટે પોતાને યોગ્ય માને છે. મર્યાદામાં વધારો થવાથી માત્ર તેમનો કાર્યકાળ વધશે જ નહીં પરંતુ EPFOને તેની થાપણો વધારવા અને તેનું સંચાલન કરવાની વધુ સારી તકો મળશે.