FD કરતા વધુ ફાયદાકારક છે આ સરકારી યોજનાઓ, જાણો આખું ગણિત
નવી કર વ્યવસ્થામાં 80C છૂટછાટ દૂર થતાં ઘણા રોકાણકારો FD તરફ વળ્યા છે. જોકે રોકાણકારો એ એ જાણવું જરૂરી છે કે, FD કરતાં પણ અન્ય એવી સરકારી યોજનાઓ છે જેમાં સારું વળતર મળે છે.

નવી કર વ્યવસ્થામાં 80C ની છૂટછાટ દૂર થયા પછી ઘણા રોકાણકારો PPF અને NSC જેવી નાની બચત યોજનાઓમાંથી બેંક FD તરફ વળતા દેખાઈ રહ્યા છે. પરંતુ નાણાકીય નિષ્ણાતોનું માનવું છે કે સરકારી બચત યોજનાઓ હજી પણ FD કરતા વધુ સારો ફાયદો આપે છે. કારણ કે 7% થી વધુ વ્યાજદર અને કરમુક્ત આવક (PPF, સુકન્યા) જેવી સુવિધાઓ આજે પણ યથાવત છે.
શું હવે પણ PPF, NSC, SCSSમાં રોકાણ કરવું યોગ્ય છે?
નવી કર વ્યવસ્થા આકર્ષક બનતા કરદાતાઓ મનમાં એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. જ્યારે હવે 80C હેઠળ કર બચતનો લાભ મળતો નથી, ત્યારે PPF, NSC અને SCSSમાં રોકાણ કરવાની જરૂર શું?
પરંપરાગત રીતે ભારતીયો આ યોજનાઓ ફક્ત ટેક્સ સેવિંગ માટે પસંદ કરતા હતા. હવે ઘણા લોકો સીધા ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તરફ જઈ રહ્યા છે કારણ કે તેમાં લોક-ઇન સમયગાળો નથી. પરંતુ વાસ્તવિક ડેટા અને રિટર્ન પર નજર નાખીએ તો હકીકત કંઈક અલગ જ દેખાય છે.
FD vs સરકારી યોજનાઓ.. ક્યાં મળે વધુ વળતર?
હાલ બજારમાં મોટા ભાગની બેંક FD પર 6% થી 6.5% વ્યાજદર મળી રહ્યો છે. બીજી તરફ સરકારની નાની બચત યોજનાઓમાં વ્યાજદર વધુ આકર્ષક છે:
| યોજના | વ્યાજદર |
|---|---|
| પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના | 7.4% |
| સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) | 8.2% |
| કિસાન વિકાસ પત્ર (KVP) | 7.5% |
| પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) | 7.1% |
| સુકન્યા સમૃદ્ધિ યોજના | 8.2% |
આ આંકડા સાબિત કરે છે કે વળતરગત દૃષ્ટિએ સરકારી યોજનાઓ FD કરતા ઘણી વધારે ફાયદાકારક છે. આજના સમયમાં કોઈપણ જોખમ સિવાય 8% સુધીનું વળતર મળવું મોટી બાબત છે.
ટેક્સ કાપ્યા બાદ હાથમાં કેટલા પૈસા બચે છે તે સૌથી મોટો મુદ્દો
રોકાણ કરતી વખતે માત્ર વ્યાજ દર જોવો પૂરતો નથી; કર કપાત પછી હાથે કેટલું બચે છે તે મુખ્ય મુદ્દો છે.
- બેંક FDનું વ્યાજ ટેક્સેબલ છે. ઉદાહરણ તરીકે 7% વ્યાજ મળે અને રોકાણકાર 10% ટેક્સ સ્લેબમાં હોય, તો ટેક્સ બાદ વાસ્તવિક વળતર માત્ર 6.3% રહેશે.
- બીજી તરફ PPF અને સુકન્યા સમૃદ્ધિ યોજનાનું વ્યાજ સંપૂર્ણપણે કરમુક્ત છે — નવી કર વ્યવસ્થા હોવા છતાં.
- એટલે 7.1% અને 8.2%નું સંપૂર્ણ લાભ સીધો રોકાણકારના હાથમાં પહોંચે છે.
લોક-ઇન પીરિયડ ખરાબ નહીં. સંપત્તિ નિર્માણ માટે કારગર
ઘણા લોકો FDને પસંદ કરે છે કારણ કે પૈસા લોક-ઇન નથી. પરંતુ નાણાકીય શિસ્ત અને ભવિષ્યના લક્ષ્યો માટે લોક-ઇન સમયગાળો હકીકતમાં ફાયદાકારક સાબિત થાય છે.
- PPF માં 15 વર્ષનો લોક-ઇન — નિવૃત્તિ માટે મોટું ભંડોળ તૈયાર કરે
- સુકન્યા યોજના — પુત્રીના ભવિષ્ય માટે સુરક્ષિત ફંડ
- લોક-ઇનમાં પૈસા બંધ હોવાથી બિનજરૂરી ખર્ચ અટકે અને લાંબા ગાળામાં સંપત્તિ સર્જાય
રોકાણ માટે સ્માર્ટ રણનીતિ અને પોર્ટફોલિયો કેવી રીતે બનાવવો?
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ & વેલ્થ કન્સલ્ટન્ટ દીપક અગ્રવાલના જણાવ્યા અનુસાર “લાંબા ગાળામાં સંપત્તિ બનાવવા માટે રોકાણમાં સંતુલન જરૂરી છે. પોર્ટફોલિયોના લગભગ 30% ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રાખવા જોઈએ. ફક્ત FD પર આધાર રાખવો યોગ્ય નથી. ગોલ્ડ, ડેટ ફંડ્સ, FD સાથે PPF અને સુકન્યા જેવી નાની બચત યોજનાઓનો જોડાણ પોર્ટફોલિયોને મજબૂત બનાવે છે.”
