સોમવતી અમાસે અચૂક કરી લો આ કામ, જરૂરથી મળશે પિતૃઓના આશીર્વાદ
અમાસની તિથિ એ પિતૃઓને સમર્પિત છે. એમાં પણ સોમવતી અમાસનો દિવસ એ પિતૃ સંબંધિત કાર્યો માટે સર્વોત્તમ મનાય છે. ત્યારે આ દિવસે એક ખાસ પ્રયોગ દ્વારા વ્યક્તિ પિતૃઓને પ્રસન્ન કરીને તેમના શુભાષિશની પ્રાપ્તિ કરી શકે છે.
વર્ષ દરમિયાન કુલ બાર અમાસ (amavasya) આવતી હોય છે. જેમાં સોમવતી અમાસ (somvati amavasya) તેમજ મૌની અમાસનું (mauni amavasya) આગવું જ મહત્વ છે. ત્યારે સૌથી રસપ્રદ વાત એ છે કે આ વખતે ભક્તોને આ બંન્ને અમાસનો લાભ મળવાનો છે. ત્યારે આવો જાણીએ કે આ અમાસે કઈ રીતે મહાફળની પ્રાપ્તિ થઈ શકે.
વિક્રમ સંવત અનુસાર પોષ માસની અમાસ એ મૌની અમાસ તરીકે ઓળખાય છે. પરંતુ, ખાસ વાત એ છે કે આ વખતે મૌની અમાસની આ તિથિ બે દિવસમાં વહેંચાઈ રહી છે. કારણ કે 31 જાન્યુઆરીને સોમવારે બપોરે 02.18 થી અમાસની તિથિનો પ્રારંભ થઈ રહ્યો છે. જે 1 ફેબ્રુઆરી, મંગળવારે સવારે 11.14 સુધી રહેશે. જે અંતર્ગત સોમવારના રોજ સોમવતી અમાસનું વ્રત રાખી શકાશે. જ્યારે મૌની અમાસના પૂજાવિધાન મંગળવારના રોજ વિશેષ ફળદાયી બની રહેશે.
અમાસની તિથિ એ પિતૃઓને સમર્પિત છે. એમાં પણ સોમવતી અમાસનો દિવસ એ પિતૃ સંબંધિત કાર્યો માટે સર્વોત્તમ મનાય છે. ત્યારે આવો જાણીએ કે આ દિવસે કેવા પ્રકારના કાર્યો કરવાથી પિતૃઓના આશિષની પ્રાપ્તિ થઈ શકે અને કયા પૂજાવિધાનથી પરિવારમાં ખુશહાલીનું આગમન થઈ શકે.
પીપળાનું પૂજન કરો
1. માન્યતા અનુસાર પીપળાના મૂળમાં ભગવાન વિષ્ણુ, થડમાં શિવજી અને પર્ણમાં બ્રહ્માજીનો વાસ છે. એટલે જો સોમવતી અમાસે પીપળાના વૃક્ષનું પૂજન કરવામાં આવે તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયની કૃપાને પ્રાપ્ત કરી શકાય છે.
2. સોમવતી અમાસે પીપળાને જળ ચઢાવવાથી ખાસ તો પિતૃઓ તૃપ્ત થતાં હોવાની માન્યતા છે. કહે છે કે આ દિવસે પીપળાને જળ ચઢાવી તેની સાત વાર પ્રદક્ષિણા કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને સંતાનોને આશિષ પ્રદાન કરે છે.
3. શક્ય હોય તો આ દિવસે પીપળાની નીચે એક દીપક પ્રજ્વલિત કરો. તેનાથી જીવનના તમામ સંકટ દૂર થશે. અને જીવન ખુશહાલ બનશે.
શું ખાસ કરવું ?
સોમવતી અમાસે પવિત્ર નદીઓમાં સ્નાનનો પણ સવિશેષ મહિમા છે. અલબત્, જો તીર્થસ્થાનમાં સ્નાન માટે જવું શક્ય ન હોય તો ઘરે જ પાવની ગંગા નદીનું સ્મરણ કરી સ્નાન કરવું. ઘરે ગંગાજળ હોય તો તેને સ્નાન માટેના પાણીમાં ભેળવવું અને પછી નીચે જણાવેલ મંત્રનું સ્મરણ કરી સ્નાન કરવું.
ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી । નર્મદે સિન્ધુ કાવેરી જલ સ્મિન્સન્નિધિં કુરુ ।।
શેનું કરશો દાન ?
1. પુરાણોમાં ઉલ્લેખ છે તે અનુસાર સોમવતી અમાસે દાન કરવાનો સવિશેષ મહિમા છે. માન્યતા અનુસાર સોમવતી અમાસે જરૂરિયાતમંદને દાન કરવાથી વ્યક્તિને પરમાત્માની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
2. કહે છે કે સોમવતી અમાસે કોઈ ગરીબને અનાજનું દાન કરવાથી વ્યક્તિના ઘરમાં ધાન્યના ભંડાર હંમેશા જ ભરેલા રહે છે.
3. સોમવતી અમાસે તલના લાડુનું દાન કરવાનું પણ મહત્વ છે. માન્યતા અનુસાર તેનાથી વ્યક્તિને સ્વાસ્થ્યનું સુખ પ્રાપ્ત થાય છે.
4. જેની કુંડળીમાં ચંદ્ર નબળો હોય તેમણે સોમવતી અમાસે ગાયને દહીં અને ભાત ખવડાવવા જોઈએ. તેનાથી લાભની પ્રાપ્તિની માન્યતા છે.
5. સોમવતી અમાસે લોટની ગોળીઓ બનાવી માછલીઓને ખવડાવવી જોઈએ.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો: બિઝનેસમાં સફળતા મેળવવા માટે ઓફિસમાં રાખો આ વસ્તુઓ, નાણાકીય સમસ્યાઓ થશે દૂર
આ પણ વાંચો: જીવનમાં મેળવવી છે અપાર સફળતા, તો સાથે રાખો રાશિ પ્રમાણે આ વસ્તુઓ, થશે ચમત્કાર !