એપ્રિલથી દેશભરમાં માત્ર ‘E20 પેટ્રોલ’ જ વેચાશે ? શું તમારા વાહનની માઈલેજ ઘટી જશે? જાણો સરકારનો શું છે મોટો નિર્ણય
ભારત સરકાર એપ્રિલથી દેશભરમાં 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ફરજિયાત કરવા જઈ રહી છે. પ્રદૂષણ ઘટાડવા અને આયાત ઓછી કરવાના આ નિર્ણયની તમારી ગાડીના એન્જિન અને માઈલેજ પર શું અસર પડશે? વાંચો સંપૂર્ણ વિગત.

ભારત સરકાર પર્યાવરણની સુરક્ષા અને વિદેશી તેલ પરની નિર્ભરતા ઘટાડવા માટે એક મોટું પગલું ભરી રહી છે. 1 એપ્રિલ 2026 થી દેશભરમાં વેચાતા પેટ્રોલમાં 20% ઇથેનોલનું મિશ્રણ ફરજિયાત કરવામાં આવ્યું છે, જેને E20 પેટ્રોલ તરીકે ઓળખવામાં આવશે. આ સાથે સરકારે પેટ્રોલમાં લઘુત્તમ RON 95 (રિસર્ચ ઓક્ટેન નંબર) હોવો પણ અનિવાર્ય કર્યો છે.
તમારી ગાડી પર શું થશે અસર?
આ નવા ફેરફારને કારણે વાહનચાલકોના મનમાં માઈલેજને લઈને અનેક સવાલો છે:
- નવા વાહનો: વર્ષ 2023-25 પછી બનેલા મોટાભાગના વાહનો E20 ઇંધણ મુજબ જ ડિઝાઇન કરવામાં આવ્યા છે, તેથી તેમાં કોઈ ખાસ સમસ્યા નહીં આવે.
- જૂના વાહનો: જૂની ગાડીઓમાં માઈલેજમાં 3 થી 7 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. જોકે, એન્જિનની પરફોર્મન્સ જાળવી રાખવા માટે સરકારે RON 95ની શરત રાખી છે.
- એન્જિનની સુરક્ષા: RON 95 પેટ્રોલ એન્જિનમાં ‘નોકિંગ’ (પ્રી-ઇગ્નીશન) ની સમસ્યા અટકાવે છે, જેથી લાંબા ગાળે એન્જિન સુરક્ષિત રહે છે.
સરકારે કેમ લીધો આ નિર્ણય?
સરકારે પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા 17 ફેબ્રુઆરીએ જાહેર કરેલી સૂચના મુજબ આ નિર્ણય પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:
- પ્રદૂષણમાં ઘટાડો: ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વધુ સ્વચ્છ રીતે બળે છે, જેનાથી કાર્બન ઉત્સર્જન ઓછું થાય છે.
- ખેડૂતોને ફાયદો: ઇથેનોલ મુખ્યત્વે શેરડી અને મકાઈ જેવી ખેતીની પેદાશોમાંથી બને છે, જેથી ખેડૂતોની આવકમાં વધારો થશે.
- આયાત બિલમાં બચત: પેટ્રોલની આયાત ઓછી થવાથી દેશના વિદેશી હૂંડિયામણની બચત થશે.
પેટ્રોલિયમ મંત્રાલયની સૂચના
કેન્દ્ર સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે તમામ તેલ કંપનીઓએ ભારતીય માનક બ્યુરો (BIS) ના ધોરણો મુજબ જ 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વેચવાનું રહેશે. જોકે, ખાસ સંજોગોમાં અમુક વિસ્તારોમાં મર્યાદિત સમય માટે છૂટછાટ આપવામાં આવી શકે છે.
શું છે આ RON 95?
RON એ પેટ્રોલની ગુણવત્તા માપવાનો એક આંકડો છે. જેટલો RON વધારે, તેટલું પેટ્રોલ એન્જિનમાં અકાળે સળગતું અટકાવશે. આનાથી એન્જિનમાંથી આવતો અવાજ (Ping sound) ઓછો થાય છે અને એન્જિનની લાઈફ વધે છે.