વડોદરાઃ બોઇલર વિસ્ફોટમાં કંપનીની બેદરકારી, બોઇલર નજીકના સ્ટોરરૂમમાં રહેતા હતા કર્મીઓ! ડાયરેક્ટર્સની ધરપકડ
વડોદરામાં ઘટેલી બોઇલર વિસ્ફોટ ઘટનામાં કંપનીની બેદરકારી છતી થઇ છે. બોઇલર નજીકના સ્ટોરરૂમમાં માણસોને રહેવા માટે જગ્યા આપ્યાની વાત સામે આવી છે.
Boiler Blast: વડોદરાના (Vadodara) મકરપુરા GIDCમાં કેન્ટોન લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બોઇલર ફાટવાના કેસમાં કાર્યવાહી શરૂ થઇ છે. પોલીસે કંપનીના ડાયરેક્ટર્સની ધરપકડ કરી છે. ડાયરેક્ટર અંકિટ પટેલ અને તેજસ પટેલના કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે કેન્ટોન લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે બોઇલર ફાટતા માતા પુત્રી સહિત કુલ ચાર લોકોના મોત થયા હતા.
આ ઘટનામાં 11 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. કંપનીના દસ્તાવેજો તપાસ કરાતા સામે આવ્યું હતું કે કંપનીમાં મશીનરી લેઆઉટ પ્લાન મુજબ બોઇલર શેડની સ્ટોરરૂમમાં દર્શાવાયું હતું. પરંતુ સ્ટોરરૂમની જગ્યાએ તે સ્થળનો ઉપયોગ માનવીના રહેણાંક માટે થતો હતો. જે કંપનીની ગંભીર બેદરકારી હતી.
જણાવી દઈએ કે બોઈલર ફાટતાં 4 લોકો જીવતા ભૂંજાઈ ગયા. એક મહિલા અને એક બાળક સહિત ચાર લોકો મોતને ભેટ્યા છે. ઓવરહિટિંગના કારણે બોઈલર ફાટતાં પ્રચંડ બ્લાસ્ટ થયો અને ક્ષણભરમાં જ કેમિકલ કંપનીમાં હાહાકાર મચી ગયો. સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. દાઝી ગયેલા 10થી વધુ લોકોની ચીચીયારીઓથી આખા વિસ્તારમાં હૈયું કકળી ઉઠે તેવો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદ પોલીસ એક્શનમાં: એક જ દિવસમાં રાત્રી કરફ્યુ, માસ્ક અને ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં કરી આ કાર્યવાહી