ભાજપ ઉમેદવારને જીતાડશો તો મકાન નહીં તૂટવા દઉ’, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળિયાની મતદારોને ધમકી, કહ્યું, દગો કર્યો તો મકાન રાખવા નહીં દઉ
વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળિયા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. સતીષ નિશાળિયાએ કરજણના નગરજનોને ચીમકી આપતા નજરે પડ્યા છે. જેમા તેઓ કહી રહ્યા છે કે ભાજપને જીતાડશો તો મકાન નહીં તૂટવા દઉ અને જો દગો કરશો તો મકાન રાખવા નહીં દઉ. આટલેથી જ નિશાળિયા ન અટક્યા વધુ શું કહ્યુ. વાંચો અહીં.
વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકા સહિતની રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 16 ફેબ્રુઆરીએ યોજાવાની છે. ભાજપ સહિતના રાજકીય પક્ષો પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે વોર્ડ નંબર 7માં પ્રચાર દરમિયાન વડોદરા જિલ્લા ભાજપ-પ્રમુખ સતીશ પટેલે સભાસ્થળે સ્ટેજ પરથી જ મતદારોને ધમકી આપતા હોવાનો વીડિયો વાઈરલ થતાં ચર્ચાઓ થઈ રહી છે. સતીશ પટેલે કહ્યું હતું કે ભાજપના ચારેય ઉમેદવારોને જિતાડશો તો એકેય મકાન તૂટવા નહીં દઉં, જો દગો કર્યો તો એકેયના રાખવા પણ નહીં દઉં. તો બીજી તરફ કરજણ બેઠકના પ્રભારી અને વડોદરા શહેર ભાજપ-પ્રમુખ ડો. વિજય શાહે કહ્યું હતું કે કરજણની મહંમદનગરીને “રામનગરી” બનાવીશું.
જિલ્લા ભાજપ-પ્રમુખ સતીશ નિશાળિયાએ સભાને સંબોધતાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવારોને મત નહિ આપો અને દગો કર્યો તો મકાનો તોડી પાડીશું એવી મતદારોને ધમકી આપતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે મહંમદ યુસુફ સિંધી “મહંમદનગર”ના 512 મકાનમાંથી 100 મકાનનું ભાડું ઊઘરાવી રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
તેમણે વધુમાં કહ્યું હતું કે મહંમદ યુસુફ સિંધી વિસ્તારમાં પોતાને ડોન સમજી રહ્યો છે અને ગરીબો પર દાદાગીરી કરી રહ્યો છે. તે કહે છે કે ચૂંટણી જીત્યા પછી અમે ભાજપમાં જવાના છે, પરંતુ ભાજપ તેમને ક્યારેય પાછા લેશે નહીં., બ્રિજ નીચેની ગેરકાયદે જગ્યા પચાવી પાડી હતી. એ પરત લઇ લીધી છે. રૂપિયા 1.86 લાખની વીજચોરીનું બિલ આપવામાં આવ્યું છે. ભાજપના નામે ગરીબોને લૂંટવાનું તેણે કામ કર્યું છે, પરંતુ હવે આ રાવણરૂપી મહંમદને ઘરભેગો કરવાનો સમય આવી ગયો છે.