જૈન મુની સાગરચંદ્ર સામે અવાજ ઉઠાવનાર પીડિત મહિલાઓને ‘જાનથી મારી નાખવાની ધમકી’, શું પોલીસ હજુ પણ તમાશો જોશે?
સુરતમાં જૈન આચાર્ય સાગરચંદ્ર સામે સાધ્વીજીઓ અને શ્રાવિકાઓના શારીરિક શોષણ તેમજ કરોડોની ઉચાપતના ગંભીર આક્ષેપો બાદ હવે નવો વળાંક આવ્યો છે. આ કેસમાં ફરિયાદ કરનાર મહિલાઓનો આરોપ છે કે આચાર્યના સમર્થકો દ્વારા તેમને સોશિયલ મીડિયા અને ફોન પર ધમકીઓ આપી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે.
સુરતમાં જૈન આચાર્ય સાગરચંદ્ર સામે ચાલી રહેલો વિરોધનો વંટોળ હવે વધુ ઉગ્ર બન્યો છે. છેલ્લા અનેક વર્ષોથી સાધ્વીજીઓ અને શ્રાવિકાઓનું શારીરિક શોષણ થતું હોવાના ગંભીર આક્ષેપો સાથે આચાર્ય સામે મોરચો મંડાયો છે. આ મામલે ફરિયાદ કરનાર મહિલાઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તેમને અને તેમના પરિવારને આચાર્યના સમર્થકો દ્વારા સતત ધમકીઓ આપવામાં આવી રહી છે.
મહિલાઓનો આરોપ છે કે સોશિયલ મીડિયા પર તેમના નામે ખોટા મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે અને ટેલિફોનિક ધમકીઓ આપીને માનસિક રીતે તોડી પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એટલું જ નહીં, મહિલાઓના સંબંધીઓને પણ ઉશ્કેરીને આડકતરી રીતે દબાણ લાવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ ઉઠ્યા છે. આ સમગ્ર મામલે ભોગ બનનાર મહિલાઓએ સુરત પોલીસ કમિશનરને મળીને લેખિત રજૂઆત કરી છે અને ધમકી આપનાર તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે જૈન મુનિ સાગરચંદ્ર સામે અગાઉ પણ બે પોલીસ ફરિયાદો થઈ ચૂકી છે, પરંતુ સંઘના ટ્રસ્ટીઓ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શારીરિક શોષણની સાથે આચાર્ય પર લાખો-કરોડો રૂપિયાની નાણાકીય ઉચાપતના પણ આરોપ છે. હવે જ્યારે મહિલાઓને ધમકી મળવાની ઘટના સામે આવી છે ત્યારે પોલીસ આ મામલે શું એક્શન લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
(ઈનપુટ ક્રેડિટ: બલદેવ સુથાર)