સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રમોશન કૌભાંડના આક્ષેપો : 2020ની શિક્ષણ નીતિનો 2015ના પેપરમાં ઉલ્લેખ થતા હોબાળો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના પ્રોફેસર ડૉ. કમલ મહેતાના પ્રમોશનને લઈ વિવાદ વકર્યો છે. કોંગ્રેસ નેતા નિદત બારોટની RTIમાં ખુલાસો થયો છે કે સંશોધન પત્રમાં 2020ની શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગંભીર ગેરરીતિના આક્ષેપો વચ્ચે શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. અંગ્રેજી ભવનના પ્રોફેસર ડૉ. કમલ મહેતાના પ્રમોશન માટે રજૂ કરવામાં આવેલા સંશોધન પત્રો (Research Papers) માં ગંભીર ગેરરીતિ આચરી હોવાના આક્ષેપો સાથે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવેલી RTI માં આ ચોંકાવનારો ખુલાસો થયો છે, જેને પગલે રાજ્યના શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા છે.
આક્ષેપ મુજબ, ડૉ. મહેતાએ વર્ષ 2015માં પ્રકાશિત થયેલા હોવાનું દર્શાવતા એક પેપરમાં ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020’ (NEP 2020) નો ઉલ્લેખ કર્યો છે. પ્રશ્ન એ ઉઠ્યો છે કે જે શિક્ષણ નીતિ 2020માં અમલી બની, તેનો ઉલ્લેખ 2015ના સંશોધન પત્રમાં કેવી રીતે હોઈ શકે? આરોપ છે કે 2015 થી 2020 દરમિયાનના જૂના પેપરોને નવી તારીખમાં સબમિટ કરીને પ્રમોશન મેળવવાનો ખેલ ખેલાયો છે.
આ ગંભીર આક્ષેપો સામે ડૉ. કમલ મહેતાએ મૌન તોડતા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે-
નિદત બારોટ રાક્ષસી વૃત્તિ ધરાવતા માણસ છે અને મને બદનામ કરવા માટે આ કાવતરું ઘડ્યું છે. મારી લાયકાત મુજબ હું 2014થી જ પ્રમોશનને પાત્ર છું, તેથી 2014 પહેલાના જ મારા સંશોધન પત્રોને ધ્યાને લેવા જોઈએ.”
તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ સિનિયોરિટી મુજબ એકેડેમિક કાઉન્સિલના મેમ્બર છે અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં સ્થાન મેળવવા માટે પ્રબળ દાવેદાર છે, જેના કારણે ઈર્ષ્યાવશ આ પ્રકારના આરોપો લગાવાઈ રહ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ પ્રમોશનથી તેમને કોઈ આર્થિક લાભ થવાનો નથી.
શિક્ષણ વિભાગ એક્શનમાં
યુનિવર્સિટી કેમ્પસમાં વધતા વિવાદ અને દસ્તાવેજી પુરાવાઓ સામે આવ્યા બાદ, ગુજરાત શિક્ષણ વિભાગે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. હવે તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ ખરેખર વહીવટી ભૂલ છે કે પ્રમોશન મેળવવા માટે આચરવામાં આવેલી વ્યવસ્થિત ગેરરીતિ.
Input Credit: Mohit Bhat
