PM મોદી રાજકોટમાં કરશે રીજનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ, શહેરીજનો માટે બની રહેશે નવું નજરાણું, જુઓ VIDEO
આશરે 10 એકરમાં ફેલાયેલું આ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર રૂપિયા 85 કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર કરાયું છે. આ વિજ્ઞાન કેન્દ્રથી લોકો ગમ્મત સાથે વિજ્ઞાનની દુનિયામાં વિહાર કરી શકશે.
Rajkot : ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નજીક આવતા જ હવે પીએમ મોદી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે આવતીકાલે પીએમ મોદી રાજકોટમાં લાઈટહાઉસ પ્રોજેક્ટનું અને નવનિર્મિત રીજનલ સાયન્સ સેન્ટરનું (Regional science center) પણ લોકાર્પણ કરશે. આશરે 10 એકરમાં ફેલાયેલું આ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર રૂપિયા 85 કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર કરાયું છે. આ વિજ્ઞાન કેન્દ્રથી લોકો ગમ્મત સાથે વિજ્ઞાનની દુનિયામાં વિહાર કરી શકશે, શહેરના ઈશ્વરીયા પાર્ક નજીક નિર્માણ પામેલું રીજનલ સાયન્સ સેન્ટર રાજકોટીયસન્સ માટે નવું નઝરાણું બની રહેશે.
જેનું વડાપ્રધાનના (PM MOdi) હસ્તે લોકાર્પણ કરવામાં આવશે અનેક વિશેષતા ભરેલા આ સાયન્સ સેન્ટરની મુલાકાત વિદ્યાર્થીઓમાં સાયન્સ પ્રત્યે ઉત્કંઠતા જગાવશે. આ સાયન્સ સેન્ટર રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, અમરેલી, જુનાગઢ (Junagadh) જેવા જિલ્લાના લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનું કામ કરશે.
7710 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ અને મોરબી તથા અન્ય જિલ્લામાં 7710 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાજકોટ જિલ્લાને અમુલ પ્લાન્ટ સહિત કુલ 4309 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ મળશે, જ્યારે મોરબી જિલ્લામાં વડાપ્રધાન 2738 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે. તેમજ અન્ય જીલ્લાના 663 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે.