‘પઠાણ’ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ થશે કે નહીં ? થિયેટર એસોસિએશને સરકાર પાસે માગી સ્પષ્ટતા
અમદાવાદ સહિત ઠેર-ઠેર પઠાણ ફિલ્મનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. હિન્દુ સંગઠનોએ કેટલીક જગ્યાએ તોડફોડ પણ કરી હતી. આવી કોઈ ઘટના ન ઘટે તે માટે, જો ફિલ્મ રિલીઝ થવાની હોય તો સુરક્ષા આપવાની માગ કરવામાં આવી છે.
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે કે નહીં તેને લઈ અસમંજસની સ્થિતિ છે, ત્યારે થિયેટર એસોસિએશને ફિલ્મ રિલીઝ કરવા બાબતે સરકાર પાસેથી સ્પષ્ટતા માગી છે. આજે મલ્ટીપ્લેક્સ થિયેટર એસોસિએશનના સભ્યો CM સાથે મુલાકાત કરીને રજૂઆત કરશે. મહત્વનું છે કે અગાઉ અમદાવાદ સહિત ઠેર-ઠેર પઠાણ ફિલ્મનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. હિન્દુ સંગઠનોએ કેટલીક જગ્યાએ તોડફોડ પણ કરી હતી. આવી કોઈ ઘટના ન ઘટે તે માટે, જો ફિલ્મ રિલીઝ થવાની હોય તો સુરક્ષા આપવાની માગ કરવામાં આવી છે.
ગુજરાતમાં ‘પઠાણ’ ફિલ્મ સામે વિરોધ
ગુજરાતમાં ‘પઠાણ’ ફિલ્મ સામે આક્રોશ વધી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં વિવિધ મલ્ટીપ્લેક્ષ સંચાલકો વિવાદિત ‘પઠાણ’ ફિલ્મના પોસ્ટર લગાવવાનું ટાળી રહ્યાં છે. બજરંગ દળના કાર્યકરોએ થોડા દિવસ પહેલા અમદાવાદના આલ્ફા વન મોલમાં આવેલ મલ્ટીપ્લેક્ષમાં તોડફોડ કરી હતી. જે બાદ મલ્ટીપ્લેક્ષના સંચાલકો સતર્ક બની ગયા છે. અને કોઈ નવો વિવાદ ટાળવા માટે ‘પઠાણ’ ફિલ્મના પોસ્ટર લગાવવાનું ટાળી રહ્યા છે. જો પઠાણ ફિલ્મના પોસ્ટર લગાવે તો હિંદુ સંગઠનો તરફથી મલ્ટીપ્લેક્ષમાં તોડફોડનો ખતરો રહે છે. તેથી સંભવિત નુકસાન ટાળવા મલ્ટીપ્લેક્ષ સંચાલકો પઠાણ ફિલ્મના પોસ્ટર લગાવવાથી ડરી રહ્યા છે.