જો ગેસ સિલિન્ડરનો સપ્લાય અટકશે તો તમારા મોબાઈલના ટાવર પણ થઈ જશે ગુમ !
શું તમે ક્યારેય વિચાર્યું છે કે રસોઈ ગેસ અને મોબાઈલ નેટવર્કને શું લેવાદેવા? ભારત સરકારના એક આદેશ બાદ ટેલિકોમ ટાવર બનાવતી કંપનીઓની ગેસ સપ્લાય બંધ કરી દેવામાં આવી છે.

સામાન્ય રીતે આપણે એલપીજી (LPG) નો ઉપયોગ રસોઈ બનાવવા માટે કરીએ છીએ, પરંતુ અત્યારે એક એવા સમાચાર આવી રહ્યા છે જે તમારા સ્માર્ટફોન અને ઈન્ટરનેટની દુનિયાને હચમચાવી શકે છે. દેશમાં ઈંધણના વધતા સંકટ વચ્ચે સરકારે પેટ્રોલિયમ કંપનીઓને માત્ર ઘરેલું ગ્રાહકોને પ્રાથમિકતા આપવાનો આદેશ આપતા ટેલિકોમ સેક્ટરમાં ફફડાટ મચી ગયો છે.
ગેસ અને ટાવર ને શું છે કનેકશન?
ઘણા લોકોને પ્રશ્ન થશે કે ટાવર તો લોખંડના હોય છે, તેમાં ગેસની શું જરૂર? હકીકતમાં, મોબાઈલ ટાવર બનાવવાની પ્રક્રિયામાં ‘ગેલ્વેનાઈઝેશન’ (Galvanization) એક અનિવાર્ય ભાગ છે. આ પ્રક્રિયામાં લોખંડ કે સ્ટીલને કાટથી બચાવવા માટે તેના પર ઝીંકનું પડ ચઢાવવામાં આવે છે. આ માટે ભઠ્ઠી ગરમ કરવા એલપીજી કે ગેસ આધારિત ઈંધણની સતત જરૂર પડે છે.
ક્યારથી છે સપ્લાય ઠપ, નેટવર્ક થશે ડાઉન!
ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડર્સ એસોસિએશન (DIPA) ના જણાવ્યા અનુસાર, 5 માર્ચ 2026 થી ઓઈલ કંપનીઓએ ટેલિકોમ ટાવર મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને ગેસ આપવાનું બંધ કરી દીધું છે. સંગઠને ચેતવણી આપી છે કે:
- જો સપ્લાય જલ્દી શરૂ નહીં થાય તો પ્લાન્ટ્સ કાયમ માટે બંધ કરવા પડી શકે છે.
- એકવાર પ્લાન્ટ બંધ થયા પછી તેને ફરી શરૂ કરવામાં લાંબો સમય લાગે છે.
- નવા ટાવર નહીં લાગે તો જે વિસ્તારોમાં નેટવર્ક ઓછું છે ત્યાં સ્થિતિ વધુ બગડશે.
કઈ કંપનીઓ પર થશે સીધી અસર?
આ ઈંધણ સંકટની સીધી અસર ઇન્ડસ ટાવર્સ, એસેન્ડ ટેલિકોમ, વોડાફોન આઈડિયા અને જેન્ટારી ઈન્ડિયા જેવી દિગ્ગજ કંપનીઓ પર જોવા મળશે. જો ટાવર સપ્લાય ચેઈન ખોરવાઈ જશે, તો 5G વિસ્તરણની યોજનાઓ પણ રોળાઈ શકે છે.
સરકાર પાસે દખલગીરીની માગ
DIPA એ ટેલિકોમ સચિવે પત્ર લખીને તાત્કાલિક દખલ કરવાની માગ કરી છે. જિયો-પોલિટિકલ તણાવને કારણે સર્જાયેલું આ ઈંધણ સંકટ હવે સીધું સામાન્ય માણસના ખિસ્સા અને તેના મોબાઈલ સિગ્નલ સુધી પહોંચી ગયું છે.
