વરસાદી માહોલની અસર સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારો પર પડી, 700થી વધુ ગામડાઓમાં વીજળી ગુલ
વરસાદી માહોલની અસર સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારો પર પડી છે. અમરેલી જિલ્લાના 11 તાલુકાના ગામડાઓમાં વીજળી ગુલ થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યો છે.
વરસાદી માહોલની અસર સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારો પર પડી છે. અમરેલી (Amreli) જિલ્લાના 11 તાલુકાના ગામડાઓમાં વીજળી ગુલ થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યો છે. 700થી વધુ ગામડાઓમાં વીજળી ગુલ થઈ છે. ત્યારે PGVCL વિભાગે લોડ શેડિંગનું કારણ બતાવ્યું હતું. કોંગ્રેસ ધારાસભ્ય પ્રતાપ દુધાતે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ રાજકોટના (Rajkot) અનેક ગ્રામ્ય વિસ્તારો પણ વીજળી ગુલ થઈ છે. વરસાદના કારણે અડધાથી એક કલાકનો વીજકાપ થયો હતો. વરસાદી માહોલને કારણે વિન્ડફાર્મ અને સોલારમાં વીજ ઉત્પાદનમાં ઘટનું કારણ દર્શાવાયું હતું.
આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સમયમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. એટલું જ નહિ, આજથી 10 જુલાઇ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ દર્શાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્ય સરકારના અને જિલ્લાઓના તંત્રએ જે રાહત બચાવ અને પ્રિપેડનેસ સંબંધી આગોતરા પગલાં લીધા છે તેની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી. મુખ્યમંત્રીએ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં યોજેલી આ સમીક્ષા બેઠકમાં રાજ્યમાં પાછલા 24 કલાક દરમ્યાન થયેલા વ્યાપક વરસાદની છણાવટ કરવામાં આવી હતી.