Gujarati Video: જેતપુરના ખીરસરા નજીક કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોને નુકસાન, આસપાસના ખેતરોમાં ફરી વળ્યા પાણી
Rajkot: જેતપુરના ખીરસરા અને ગુંદાળા ગામ વચ્ચે કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોને નુકસાન થયુ છે, કેનાલના દરવાજા પાસે સેવાળ અને કચરો ફસાઈ જતા કેનાલ છલકાઈ હતી. આ પાણી લણણી કરેલા પાકના પાથરામાં આવી જતા પાકને મોટા પાયે નુકસાન થવા પામ્યુ છે.

રાજકોટમાં જેતપુરના ખીરસરા અને ગુંદાળા ગામ વચ્ચે કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતોને નુકસાન થયું છે. કેનાલના દરવાજા પાસે સેવાળ અને કચરો ફસાઈ જતાં કેનાલ છલકાઈ હતી. જેના કારણે કેનાલનું પાણી આસપાસના ખેતરના ઉભા પાકમાં ફરી વળ્યું હતું. કેનાલના પાણી લણણી કરેલા પાકના પાથરા અને તૈયાર પાકમાં ફરી વળતા મોટું નુકસાન થયું છે. ખેડૂતોનું કહેવું છે કે ખેતરમાં ધાણાનો પાક લણીને પાથરા કર્યા હતા. તેના પર પાણી ફરી વળતા પાક નિષ્ફળ જવાની ભીતિ છે. જ્યારે ઘઉંનો પાક આખો પાણીમાં ડૂબી જતા ફેઈલ થયો છે.
એટલું જ નહીં ચણા, ઘઉં અને ધાણાના પાક પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલ સાફ કર્યા વગર જ પાણી છોડી દેવામાં આવ્યું હતું. જેના કારણે કેનાલ છલકાઇ છે
બીજી તરફ સિંચાઇ અધિકારીએ ખેડૂતોના આક્ષેપ ફગાવ્યાં અને તંત્રનો બચાવ કરતા કહ્યું કે કેનાલની સફાઈ કરાવેલી છે. પરંતુ ડેમમાંથી વધુ પડતી સેવાળ આવવાને કારણે દરવાજો બંધ થઇ ગયો. જેના કારણે કેનાલ છલકાઈ ગઈ હતી. સાથે જ કહ્યું કે જે ખેડૂતોને નુકસાન થયું હશે તેનો અમે સર્વે કરીને વળતર માટે ઉપર લેવલે રજૂઆત કરીશું.