ગુજરાતમાં દારૂબંધી પર ‘મહાભારત’! વિધાનસભામાં મંત્રી મોઢવાડિયા અને શૈલેષ પરમાર વચ્ચે બરોબરની જામી – જુઓ Video
ગુજરાત વિધાનસભાના મેદાનમાં અંદાજપત્રની ચર્ચા દરમિયાન દારૂબંધીના મુદ્દે ભયંકર રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગૃહમાં એક સનસનીખેજ દાવો કરતા વાતાવરણ ગરમાયું હતું.
ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ગૃહમાં અંદાજપત્રની ચર્ચા દરમિયાન મંત્રી અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, દારૂબંધી હોવાને કારણે ગુજરાતને 20 હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું છે અને પંજાબ-દિલ્હીની જેમ આપણે ત્યાં આવી વ્યવસ્થા ચાલતી નથી. આ મુદ્દે ગૃહમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો, જેમાં શૈલેષ પરમાર અને અર્જુન મોઢવાડિયા વચ્ચે શાબ્દિક પ્રહાર થયા હતા અને એમાં અર્જુન મોઢવાડિયાએ શૈલેષ પરમાર પર પ્રહાર કર્યો હતો.
ચર્ચા દરમિયાન મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિપક્ષને નિશાન બનાવતાં કહ્યું હતું કે, “દિલ્હીના તઘલખ રોડથી પ્રેરણા ન લો.” આના જવાબમાં શૈલેષ પરમારે પલટવાર કરતાં કહ્યું હતું કે, “તમને તો તઘલખ રોડ વાળાએ જ મોટા કર્યા છે, તમને તઘલખ રોડ વાળાએ જ પ્રમુખ બનાવ્યા અને મોટા બનાવ્યા હતા.”
મહત્વનું છે કે, દિલ્હીના તઘલખ રોડ પર ગાંધી પરિવારનું નિવાસસ્થાન આવેલું છે, જેને લઈને આ નિવેદનમાં કોંગ્રેસ અને ગાંધી પરિવાર પ્રત્યેનો કટાક્ષ સ્પષ્ટ દેખાયો હતો. બસ આ ઘટનાએ વિધાનસભા ગૃહમાં ફરી એકવાર રાજકીય તાપમાન વધારી દીધું હતું.
