રાજકોટના સમૂહ લગ્નમાં કન્યાઓને દાનમાં અપાયા નકલી દાગીના, લખતર પરિવારે પોલીસમાં કરી ફરિયાદ, જુઓ Video
રાજકોટના કુવાડવા વિસ્તારમાં શિવાજી સેના દ્વારા 27 એપ્રિલે આયોજિત સમૂહ લગ્ન કાર્યક્રમ દરમિયાન દાગીનાના નામે છેતરપિંડીની ઘટના સામે આવી છે.
ગુજરાતમાં ઘણા સમાજ દ્વારા સામુહિક લગ્નનું આયોજન કરવામાં આવતુ હોય છે. જેમાં કન્યાઓને દાનમાં કરિયાવર અને દાગીના આપવામાં આવતા હોય છે. જો કે રાજકોટમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં આયોજીત સમુહલગ્નમાં વધુઓને દાગીના અને કરિયાવરનું દાન તો કરવામાં આવ્યુ, જો કે ઘરે જઇને આ દાગીના ચેક કરતા તે નકલી નીકળ્યા હતા.
રાજકોટના કુવાડવા વિસ્તારમાં શિવાજી સેના દ્વારા 27 એપ્રિલે આયોજિત સમૂહ લગ્ન કાર્યક્રમ દરમિયાન દાગીનાના નામે છેતરપિંડીની ઘટના સામે આવી છે. લખતરના એક પરિવારે કરિયાવરમાં અસલી દાગીનાની જગ્યાએ નકલી દાગીના આપવાના આરોપ સાથે આયોજકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કુવાડવા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. એમાં આરોપ લગાવાયો છે કે, કરિયાવરમાં આપવામાં આવેલા દાગીનામાંથી ઘણા દાગીના નકલી છે.
જો કે, આ વિવાદને લઈને આયોજક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. આયોજકે કહ્યું છે કે, “તેમાં એક સોનાની અને એક ચાંદીની વસ્તુ પણ હતી. ગેરસમજને કારણે વિવાદ થયો છે. જો કોઈને તકલીફ થઈ હોય તો અમે દાગીના બદલાવી આપવાની તૈયારી રાખીએ છીએ.” આ સિવાય આયોજકોએ વીડિયોએ બનાવ્યો છે અને આ ઘટના અંગે માફી માંગી છે.
આયોજકે વધુમાં કહ્યું કે, અમે સમૂહ લગ્નની વ્યવસ્થા માટે જવાબદાર છીએ અને આવી કોઈ ઘટના બને તો પીડિતોએ સીધો સંપર્ક તેમને કરવો તેવી પણ અપીલ કરી છે.