અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા પદયાત્રિકો માટે 28 લાખ લીટર પીવાના પાણીની કરાઈ વ્યવસ્થા- Video
અંબાજીમાં શ્રદ્ધાની હેલી ચોથા દિવસે પણ યથાવત જોવા મળી. આરાસુરના માર્ગો પર શ્રદ્ધાનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. ભાદરવી પૂનમના આ મહામેળામાં આવતા પદયાત્રિકો માટે 28 લાખ લીટર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાદરવી પૂનમના મેળાનો આજે ચોથો દિવસ છે. બોલ માડી અંબે જય જય અંબેનાં નાદ સાથે પદયાત્રીઓનું ઘોડાપુર અંબાજી તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે યાત્રિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા દરરોજ 28 લાખ લીટર પાણી વિતરણની વ્યવસ્થા કરાઈ છે. ધરોઇ જળાશયમાંથી 18 લાખ લીટર અને સ્થાનિક સ્ત્રોતમાંથી 10 લાખ લીટર પાણી પૂરુ પાડવામાં આવી રહ્યું છે. 35 પાર્કિંગ સ્થળો, સેવા કેમ્પો અને શેલ્ટર હોમ્સ પર પીવાના પાણીની ખાસ સુવિધા ઉભી કરાઈ છે. પાણી વિતરણની વ્યવસ્થાનું 7 ટીમ સતત મોનિટરિંગ કરી કહી છે. મેળામાં દરેક યાત્રાળુઓને પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા આયોજન કરાયું છે.
મેળામાં GSRTCની અંદાજિત 5500 જેટલી બસો યાત્રાળુઓની સેવામાં કાર્યરત કરાઈ છે. માઈભક્તો પગપાળામાં અંબાના દર્શન માટે આવી રહ્યા છે. તો ઘણા શ્રદ્ધાળુઓ ST બસ મારફતે પણ અંબાજી આવી રહ્યા છે. જેથી ST વિભાગ દ્વારા ભક્તોને અગવડતા ન પડે તે પ્રકારનું આયોજન કરાયું છે.