Bhavnagar : નકલી ઘી બનાવવાનું રેકેટ ઝડપાયુ, 200 કિલો ઘી સહિત કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
તપાસ દરમિયાન પોલીસે અહીંથી 200 કિલો નકલી ઘી, 300 કિલો મલાઈ સહિત રૂપિયા ચાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ભાવનગરમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરી ભેળસેળ વાળા ઘીનો મોટો વેપાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે SOG પોલીસે બાતમીના આધારે ડુપ્લિકેટ ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સરિત શેરીમાં આવેલ પંડ્યા નામની દુકાનમાં રેડ પાડી હતી. તપાસ દરમિયાન પોલીસે અહીંથી 200 કિલો નકલી ઘી, 300 કિલો મલાઈ સહિત રૂપિયા ચાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે પોલીસે મનપાના આરોગ્ય વિભાગને પણ જાણ કરી હતી. હાલ તો પોલીસ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
લોકોના આરોગ્ય સાથે ચેડા !
થોડા દિવસો અગાઉ રાજકોટમાં વેપારીઓ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વેપારીઓને ત્યાંથી લેવામાં આવેલા ઘી, મરચું, ધાણાજીરું અને હળદરના નમૂનાઓ ચકાસણી દરમિયાન ફેલ થયા હતા. શહેરના દરજી બજારમાં આવેલા આશિર્વાદ માર્કેટિંગમાં મરચાના પાવડર બાદ હવે હળદર અને ધાણાજીરૂના નમૂનાઓ પણ ફેલ થયા.