Rajkot : વેપારીઓના વેક્સિનેશનની મુદત વધારવાની માગ, ચેમ્બર ઓફ કોમર્સે CM ને પત્ર લખી રજૂઆત કરી
વેપારીઓની રજૂઆત છે કે રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી. તેવામાં 15 જુલાઈ સુધી તમામ વેપારીઓનું રસીકરણ થઈ શકે તેવી સ્થિતિ નથી.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે વૅક્સીનેશન મુદ્દે સીએમ રૂપાણીને પત્ર લખ્યો છે. ચેમ્બર ઓફ કોમર્સે વેપારીઓના રસીકરણની મુદ્દત 15 જુલાઈ સુધી લંબાવવાની માગ કરી છે. વેપારીઓની રજૂઆત છે કે રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી. તેવામાં 15 જુલાઈ સુધી તમામ વેપારીઓનું રસીકરણ થઈ શકે તેવી સ્થિતિ નથી.
જેથી વેપારીઓ ખોટી રીતે ન દંડાય તે માટે મુદ્દત વધારવામાં આવે તેવી માંગણી ચેમ્બર ઓફ કોમર્સે કરી છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનું કહેવું છે કે, પહેલેથી જ વેપારીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે તેઓ વૅક્સીન લેવા માગે છે, પરંતુ રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી. તેવા સમયે સરકારે જ સમજવું જોઈએ અને વેક્સિનેશનની તારીખ લંબાવવી જોઈએ.
રાજ્યમાં કોરોનાના (Corona) કેસમાં મોટો ઘટાડો થતા હવે વહીવટી તંત્રએ રસીકરણ (Vaccination) પર ભાર મૂક્યો છે. રાજ્યમાં હોટલ સંચાલકો (Hoteliers) અને સ્ટાફ માટે 30 જૂન સુધીમાં કોરોના રસી (Corona Vaccine) લેવી ફરજિયાત કરવામાં આવી છે.
અમદાવાદની મોટાભાગની હોટલમાં સ્ટાફને રસીનો એક ડોઝ અપાઈ ચુક્યો છે. હોટલ માલિકોને રસીનો બીજો ડોઝ લેવા તૈયાર છે, પરંતુ હવે સમય ઓછો છે. કેટલાક કર્મચારીઓના ડોક્યુમેન્ટ ગામડે છે જેથી તે મંગાવવામાં સમય જાય તેમ છે, જેથી હોટલ સંચાલકોએ રસી લેવાનો સમય બે અઠવાડિયા વધારવાની માગણી કરી છે.
સુરતમાં કોરોના રસીકરણ ફૂલ સ્પીડમાં આગળ વધી રહ્યું છે. કાપડ, હીરા કે ફરસાણ સહિતના એકમોમાં કામ કરતા કારીગરો કોરોનાની રસી મુકાવવા તૈયાર છે. જો કે નાના એકમોના માલિકોએ રસીકરણ કેન્દ્રોની સંખ્યા વધારવા માગણી કરી છે. આ ઉપરાંત સમય પણ થોડો વધારાય તો મોટી સંખ્યામાં ઝડપથી લોકો રસી મુકાવી શકે.
રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ મહાઅભિયાનની વાત કરીએ તો, માત્ર એક જ સપ્તાહમાં રસીકરણ મહાઅભિયાનનો ફિયાસ્કો થયો છે. સરકારી આંકડા જ દર્શાવી રહ્યા છે કે રસીકરણ અભિયાન ખોરવાયું છે. રાજ્યના શહેરોમાં થયેલા રસીકરણના આંકડા પર નજર કરીએ તો, પાછલા એક સપ્તાહથી સરેરાશ 4 લાખને પાર નોંધાતું રસીકરણ ઘટીને 2 લાખ 40 હજારે પહોંચ્યું છે.