છેલ્લા કેટલાક વર્ષોથી ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચેના સંબંધોને લઈને ક્યારેક પરસ્પર વિખવાદના અહેવાલો, ક્યારેક કેપ્ટનશિપને લઈને વિવાદ, તો ક્યારેક સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે નેગેટિવ ટ્રોલિંગના સમાચારો સામે આવતા રહેતા હતા.
પરંતુ ટીમ ઈન્ડિયાના આ બે મોટા દિગ્ગજોએ ક્યારેય એવા વિવાદો કે કથિત ઝઘડાઓને તે લક્ષ્યના માર્ગમાં આવવા દીધા નથી, જે બંને છેલ્લા 11 વર્ષથી હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘણી નિરાશાઓ, અને ટીક્કાઓ પછી બંનેએ આખરે તે લક્ષ્ય પ્રાપ્ત કર્યું જેના માટે તેઓએ ખૂબ મહેનત કરી હતી. આ પછી જે તસવીર સામે આવી તેણે દરેક વિવાદ, મતભેદ અને ‘ફેન વોર’ને ચુપ કરી દીધા છે.
શનિવારે 29 જૂને બાર્બાડોસમાં 20મી ઓવરમાં હાર્દિક પંડ્યાના છેલ્લા બોલ પર સાઉથ આફ્રિકાના બેટ્સમેને છેલ્લો શોટ રમ્યો કે તરત જ આખું ભારત આનંદથી ઉછળી ઊઠ્યું. કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને સપોર્ટ સ્ટાફ સહિત તમામ 15 ખેલાડીઓ મેદાનમાં આવ્યા અને ટી-20 વર્લ્ડ કપ 2024ની જીતની ઉજવણી પોતપોતાની શૈલીમાં કરવા લાગ્યા. ખુશીના આંસુ વહાવ્યા તો એકબીજાને ભેટી ભડ્યા. ભારતીય ટીમની ઉજવણીના ફોટોગ્રાફ્સ સામે આવ્યા તેમાં એક ફોટો એવો પણ આવ્યો જેની દરેક ભારતીય ચાહકને જરૂર હતી અને આકાંક્ષા હતી.
ટીમ ઈન્ડિયાના વિજય દરમિયાન અચાનક વિરાટ કોહલી-રોહિત શર્મા એક સાથે આવ્યા અને પછી તિરંગા અને વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટો ક્લિક કર્યો, જે દરેક ભારતીય ચાહકોના મનમાં કાયમ રહેશે. ભાગ્યે જ કોઈ ભારતીય ચાહક હશે જેણે આ ફોટો શેર ન કર્યો હોય અથવા તેના પર પોતાનો પ્રેમ વરસાવ્યો ન હોય. આ જોઈને બધા ભાવુક થઈ ગયા. આ ફોટાને લઈને કોહલીએ જણાવ્યું છે કે ફોટો શા માટે ખાસ હતો.
વિરાટે કહ્યું કે આ વર્લ્ડ કપ રોહિત માટે પણ ખૂબ જ ખાસ હતો કારણ કે વર્લ્ડ કપ ફાઈનલ માટે તેનો પરિવાર પણ મેદાન પર હાજર હતો. કોહલીએ કહ્યું કે સમાયરા (રોહિતની પુત્રી) તેના ખભા પર હતી અને આ સમગ્ર સેલિબ્રેશન દરમિયાન રોહિત શર્મા પાછળ જ હતો તેથી કોહલીએ આગળ લાવીને ટ્રોફી આપી અને બંનેએ સાથે ફોટો પડાવ્યો હતો.
That frame! @imVkohli and @ImRo45 have been instrumental in making #TeamIndia one of the most successful teams in ICC tournaments!
Team India with 4 World Cups now, tied with the West Indies and second only to Australia.We’ll miss these two legends… pic.twitter.com/EsysYnm9PH
— Star Sports (@StarSportsIndia) June 30, 2024
આ ફોટો ભારતીય ક્રિકેટને સમર્પિત કરતા વિરાટે કહ્યું કે કેપ્ટન કે લીડર કોઈ પણ હોય તેનાથી કોઈ ફરક નથી પડતો કારણ કે તે બંને છેલ્લા ઘણા સમયથી ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવા માટે કામ કરી રહ્યા હતા અને તેમની સામે માત્ર એક જ લક્ષ્ય હતું. કોહલીએ કહ્યું કે તેણે આ ફોટો લેવાનું નક્કી કર્યું કારણ કે તે દરેક માટે ખૂબ જ ખાસ હતો. દેખીતી રીતે, કોહલી અને રોહિતે જે લક્ષ્ય રાખ્યું હતું તે આખરે હાંસલ થયું. એટલું જ નહીં બંનેએ એક સાથે T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.