IND vs ENG: ચેન્નાઈની પીચ પર માંજરેકર સહિત ઈંગ્લેન્ડના દિગ્ગજોએ ઉઠાવ્યા સવાલ, અયોગ્ય પીચ ગણાવી
ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચેન્નાઈ (Chennai Test)માં બીજી ટેસ્ટ મેચની પીચને લઈને સવાલો પેદા થવા લાગ્યા છે.
ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચેન્નાઈ (Chennai Test)માં બીજી ટેસ્ટ મેચની પીચને લઈને સવાલો પેદા થવા લાગ્યા છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોન (Michael Vaughan), ઈયાન બેલ (Ian Bell) અને ભારતના પૂર્વ કેપ્ટન સંજય માંજરેકરે (Sanjay Manjrekar) પીચને લઈને સવાલો ઉઠાવ્યા છે. વોને તો ચેન્નાઈની પીચને બિચ તરીકે ગણાવી દીધી છે તો વળી સંજય માંજરેકર અને બેલે કહ્યુ કે ચેપોક મેદાનની આ પીચ ટેસ્ટ ક્રિકેટના લાયક નથી.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ બંને ટેસ્ટ મેચ ચેન્નાઈમાં રમાઈ છે. પ્રથમ ટેસ્ટ માટે જે પીચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં બે દિવસ સુધી તો બોલરોને કોઈ મદદ જ નહોતી મળી રહી. જોકે આખરી ત્રણ દિવસમાં પીચ તુટી ગઈ હતી અને જેને લઈને બોલરોને ખૂબ ફાયદો મળ્યો હતો તો વળી બીજી ટેસ્ટ મેચ અલગ પીચ પર રમાઈ રહી છે, આ પીચ પર પણ પ્રથમ દિવસથી જ સ્પિનરોને મદદ મળી રહી છે.
સંજય માંજરેકરે આ અંગે વાત કરતા કહ્યુ કે આકરા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર ટ્રોલીંગ થવા લાગે છે. પરંતુ પીચ ટેસ્ટ મેચના લાયક નથી. તેમણે ઈએસપીએન ક્રિકઈન્ફો સાથે વાત કરતા કહ્યુ હતુ કે જ્યારે તમે ટેસ્ટ લેવલની બેટીંગ, બોલીંગ અને કેચિંગની આશા રાખો છો તો પીચ પણ એવી જ જોઈએ. હું વધારે કડક શબ્દોમાં તો નહીં કહુ, પછી ટ્રોલીંગ થવા લાગે છે. જોકે પીચ ઈન્ટરનેશનલ લેવલની હોવી જોઈએ, તે પહેલા જ દિવસે 25-30 મિનિટની રમતમાં જ તુટવી ના જોઈએ. આ હિસાબથી આ પીચ ખૂબ ખરાબ છે. કોઈ પણ રીતે ટેસ્ટ લેવલની આંતરરાષ્ટ્રીય પીચ ના કહી શકાય. આ તો ખરાબ પીચ છે.
જ્યારે સંજય માંજરેકરે કહ્યુ કે બીજી ટેસ્ટના પ્રથમ કલાકમાં જ પ્રથમ ટેસ્ટના પહેલા દિવસ કરતા વધુ રોમાંચ જોવા મળ્યો. આ પૂર્વ ક્રિકેટરે કહ્યુ કે, પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસે ધીમો ટર્ન હતો. જ્યારે આજે પહેલા એક દોઢ કલાકમાં જ પીચ તુટવા લાગી હતી. આ ઠીક નથી. તેમણે કહ્યુ કે, આ પ્રકારની પીચ બનાવવા પાછળ એક તરફની તડપ જોઈ શકાય છે. આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને લઈને હોઈ શકે, પરંતુ ભારતને આવી પીચની જરુર નથી. નાગપુરમાં દક્ષિણ આફ્રિકાની સામેની આવી જ પીચને લઈને પણ અગાઉ આલોચના થઈ હતી.
ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ઈયાન બેલે પણ કહ્યુ હતુ કે, પીચ જેવી જોવા મળી રહી તેનાથી લાગતુ નથી કે રમત પાંચ દિવસ સુધી રમી શકાય. જોકે જોવાનુ એ રહેશે કે, બંને ટીમો કેવી રીતે રમી શકે છે. અત્યાર સુધીની રમતના હિસાબથી તો પીચ યોગ્ય નથી લાગી રહી. વળી ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ટ્વીટ કરીને બીજી ટેસ્ટની પીચને લઇને પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યુ હતુ કે, જો ઈંગ્લેન્ડ આ પીચ પર ટોસ હારી જવા છતાં પણ જીતી જશે તો શાનદાર જીત હશે.
આ પણ વાંચો: INDvsENG: રોહિત શર્માના બેટે ધમાલ મચાવી તો કોહલી શૂન્યમાં આઉટ, જાણો કેવા રહ્યા નવા ટેસ્ટ રેકોર્ડ