IND vs PAK : અમદાવાદમાં 11 વર્ષ પહેલા પાકિસ્તાન સામે રોહિત શર્મા સાથે શું થયું હતું ?
ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કરનો સમય નજીક આવી રહ્યો છે. બંને ટીમો શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. 11 વર્ષ બાદ બંને ટીમો અમદાવાદમાં આમને-સામને થશે. 2012માં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન રોહિત શર્મા પણ હતો અને મેચમાં તેણે પોતાની અલગ છાપ પણ છોડી હતી.

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં ભારત અને પાકિસ્તાનની ટીમો 14 ઓક્ટોબરે આમને સામને થશે. ટૂર્નામેન્ટમાં બંને ટીમો અત્યાર સુધી શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયા (Team India) એ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને હરાવ્યું છે તો પાકિસ્તાને શ્રીલંકા અને નેધરલેન્ડને હરાવ્યું છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 11 વર્ષ બાદ પાકિસ્તાન (Pakistan) ની ટીમ અમદાવાદમાં મેચ રમશે.
11 વર્ષ પહેલા અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની થઈ હતી ટક્કર
11 વર્ષ પહેલા એટલે કે 28 ડિસેમ્બર, 2012ના રોજ અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન છેલ્લી વખત સામ-સામે હતા. આ T20 મેચ હતી. ટીમ ઈન્ડિયાએ 11 રનથી જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા હતા. યુવરાજ સિંહે 36 બોલમાં 72 રનની ઈનિંગ રમી હતી. જવાબમાં પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 181 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયા માટે અશોક ડિંડા સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 36 રન આપીને 3 વિકેટ લીધી હતી. યુવરાજને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.
રોહિત શર્માએ 7મા નંબરે બેટિંગ કરી હતી
આ મેચમાં ટીમ ઈન્ડિયાનો વર્તમાન કેપ્ટન રોહિત શર્મા પણ રમ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપવાળી ટીમમાં રોહિત યુવા ચહેરાઓમાંથી એક હતો. રોહિતની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને માત્ર 5 વર્ષ જ થયા હતા. આજે વિશ્વના સૌથી ખતરનાક બેટ્સમેનોમાંનો એક રોહિત શર્મા તે મેચમાં 7મા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 2 બોલનો સામનો કર્યો અને 4 રન બનાવ્યા હતા. તેણે આ રન પણ ચોગ્ગો ફટકારીને બનાવ્યો હતો અને તે નોટ આઉટ પરત ફર્યો હતો.
We are here in Ahmedabad! #CWC23 | #TeamIndia | #INDvPAK | #MeninBlue pic.twitter.com/dVuOaynYRN
— BCCI (@BCCI) October 12, 2023
રોહિતે આફ્રિદીનો કેચ પકડ્યો હતો
ટીમમાં ગૌતમ ગંભીર, વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, યુવરાજ સિંહ, સુરેશ રૈના જેવા મજબૂત બેટ્સમેન હતા. આ તમામ બેટ્સમેનો રોહિત પહેલા બેટિંગ કરવા ઉતર્યા હતા. રોહિતે ફિલ્ડિંગમાં પોતાની પ્રતિભા બતાવી અને પાકિસ્તાનના વિસ્ફોટક બેટ્સમેન શાહિદ આફ્રિદીનો કેચ પકડ્યો હતો. આ બે મેચની સીરિઝ હતી જેમાં બંને ટીમોએ એક-એક મેચ જીતી હતી. પાકિસ્તાનના મોહમ્મદ હાફીઝને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો.
આ પણ વાંચો : Quinton De Kock : જે બેટ્સમેનની ODI કારકિર્દી ખતમ થવા જઈ રહી છે, તેણે વર્લ્ડ કપમાં સતત બે સદી ફટકારી
પાકિસ્તાનની ટીમ 7 વર્ષ બાદ ભારતમાં
બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાનની ટીમ 7 વર્ષ બાદ ભારતમાં ભારતમાં કોઈ ટુર્નામેન્ટમાં રમવા આવી છે. હૈદરાબાદમાં તેમનું જોરદાર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. તેમણે હૈદરાબાદમાં બે પ્રેક્ટિસ મેચો સહિત ચાર મેચ રમી હતી અને આ સમયગાળા દરમિયાન ચાહકો અને મીડિયા માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. પાકિસ્તાને પ્રથમ બે મેચમાં નેધરલેન્ડ અને શ્રીલંકાને હરાવીને વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે.