ઈરાની ટ્રોફી (Irani Trophy) માટે ભારતની બાકીની ટીમની જાહેરાત કરવામાં આવી છે. 15 સભ્યોની ટીમની કમાન હનુમા વિહારી (Hanuma Vihari) ને સોંપવામાં આવી છે. ઈરાની ટ્રોફીની મેચ 1 થી 5 ઓક્ટોબર દરમિયાન રાજકોટમાં રમાશે, જેમાં બાકીના ભારતને સૌરાષ્ટ્રના પડકારનો સામનો કરવો પડશે. ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) ઈરાની ટ્રોફીમાં સૌરાષ્ટ્રની કેપ્ટનશીપ કરતો જોવા મળી શકે છે. બાકીની ભારતની ટીમમાં ઘણા ટોચના ક્રમના બેટ્સમેન છે, જેમાં યશસ્વી જયસ્વાલ, પ્રિયાંક પંચાલ, મયંક અગ્રવાલ અને અભિમન્યુ ઇશ્વરન જેવા નામનો સમાવેશ થાય છે.
રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી ડેબ્યૂમાં સદી ફટકારનાર બેટ્સમેન યશ ઢૂલને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઢૂલ એ કેપ્ટન છે જેણે ભારત માટે અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 9 ઇનિંગ્સમાં 4 સદી સાથે 770 રન બનાવ્યા છે.
યશ ઢૂલની જેમ, યશસ્વી જયસ્વાલે પણ તાજેતરના સમયમાં પ્રથમ કક્ષાનું સારું પ્રદર્શન કર્યું છે. તેણે છેલ્લી 13 ઇનિંગ્સમાં 84.58ની એવરેજથી રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 1 અડધી સદી સામેલ છે. આ સિવાય સરફરાઝ ખાનની હાજરી ટીમના મિડલ ઓર્ડરને મજબૂત બનાવતી જોવા મળી રહી છે.
વિકેટ કીપર બેટ્સમેન ઉપેન્દ્ર યાદવને પણ રેસ્ટ ઓફ ઈન્ડિયાની ટીમમાં તક મળી છે. આ ઉપરાંત ટીમમાં અન્ય વિકેટકીપર અને અનુભવી બેટ્સમેન કેએસ ભરત પણ હશે. ટીમની બોલિંગ લાઇન અપમાં ઉમરાન મલિક એક મોટો ચહેરો છે. તેના સિવાય IPL માં ધોનીની ટીમ CSK તરફથી રમી ચૂકેલા મુકેશ કુમારને પણ તક મળી છે. આ સિવાય કુલદીપ સેન પણ ટીમની ફાસ્ટ બોલિંગનો ચહેરો છે. સ્પિન વિભાગની જવાબદારી સંપૂર્ણપણે સૌરભ કુમાર અને જયંત યાદવના ખભા પર છે.
હનુમા વિહારી (કેપ્ટન), અભિમન્યુ ઇશ્વરન, પ્રિયાંક પંચાલ, સરફરાઝ ખાન, મયંક અગ્રવાલ, યશસ્વી જયસ્વાલ, યશ ઢૂલ, કેએસ ભરત (વિકેટકિપર), ઉપેન્દ્ર યાદવ (વિકેટકિપર), કુલદીપ સેન, ઉમરાન મલિક, મુકેશ કુમાર, અરજન નાગવાસવાલા, જયંત યાદવ, સૌરભ કુમાર
રેસ્ટ ઓફ ઈન્ડિયા ટીમના કોચ સિતાંસુ કોટક હશે, જેઓ સૌરાષ્ટ્રના પૂર્વ કેપ્ટન પણ રહી ચૂક્યા છે. આ સિવાય તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં VVS લક્ષ્મણના કોચિંગ ગ્રુપનો પણ એક ભાગ છે. આ વર્ષે ભારતીય ટીમના આયર્લેન્ડ પ્રવાસમાં તે સહાયક કોચ તરીકે પણ ટીમ સાથે હતા.