T20 World Cup IND vs PAK : ભારત સામે હાર્યા બાદ બાબર આઝમે કબૂલી આ મોટી ભૂલ, સુપર-8માં પ્રવેશવાનું પાકિસ્તાન માટે બન્યું મુશ્કેલ
પાકિસ્તાનને 6 રને હરાવીને, ભારતીય ક્રિકેટ ટીમ સુપર 8માં પ્રવેશવાની તક સરળ બનાવી દીધી છે. સતત બે મેચ જીતીને ભારતીય ક્રિકેટ ટીમ 4 પોઈન્ટ અને 1.455ના નેટ રન રેટના આધારે ભારતની ક્રિકેટ ટીમ ગ્રુપ-એના પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોચી ગઈ છે. જ્યારે ટી 20 વર્લ્ડ કપની ગ્રુપ મેચમાં સતત બે મેચ હારીને પાકિસ્તાન પોઈન્ટ ટેબલના ચોથા સ્થાને ગગડી ગયું છે.
![T20 World Cup IND vs PAK : ભારત સામે હાર્યા બાદ બાબર આઝમે કબૂલી આ મોટી ભૂલ, સુપર-8માં પ્રવેશવાનું પાકિસ્તાન માટે બન્યું મુશ્કેલ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/T20-World-Cup-IND-vs-PAK-After-losing-to-India-Babar-Azam-admits-big-mistake.jpg?w=1280)
T20 વર્લ્ડ કપ 2024માં, ગઈકાલ રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગના કારણે ભારતીય ટીમે પાકિસ્તાનને છ રનથી કારમી હાર આપી હતી. વર્તમાન ટુર્નામેન્ટમાં સતત બીજીવાર હાર્યા બાદ પાકિસ્તાનના સુકાની બાબર આઝમે દુખ વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું કે સતત વિકેટ ગુમાવવાને કારણે પાકિસ્તાનની ટીમને તેના પરંપરાગત હરીફ એવા ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
બુમરાહની ઘાતક બોલિંગે ભારતને અપાવી જીત
ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ગઈકાલ 9 જૂનના રોજ રમાયેલી મેચમાં ભારતીય ટીમ 19 ઓવરમાં 119 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. 119 રનનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 113 રન જ બનાવી શકી હતી. ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની સામે પાકિસ્તાનના બેટ્સમેન ફ્લોપ રહ્યા હતા. જસપ્રિત બુમરાહે ચાર ઓવરના સ્પેલમાં 3.50ના ઇકોનોમી રેટથી માત્ર 14 રન જ આપ્યા હતા અને મેચને ભારતની તરફેણમાં ફેરવી દીધી હતી. આ શાનદાર પ્રદર્શન માટે જસપ્રિત બુમરાહને પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો હતો.
હાર બાદ બાબર આઝમનું દર્દ છલક્યું
ભારત સામેની હાર બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે જણાવ્યું કે તેમની ટીમમાં ક્યાં ભૂલ થઈ. બાબર આઝમે કહ્યું, “અમે સારી બોલિંગ કરી. બેટિંગ કરતી વખતે, અમે વિકેટ ગુમાવવાનું ચાલુ રાખ્યું અને ઘણા બધા ડોટ બોલ પણ રમ્યા. અમારી સામાન્ય રમત રમવા માટે વ્યૂહરચના સરળ હતી. માત્ર સ્ટ્રાઈક રોટેશન અને કેટલીક બાઉન્ડ્રી ફટકારવાનું નક્કી કર્યું હતું. પરંતુ બેટીંગ દરમિયાનમાં અમે ઘણા બધા ડોટ બોલ રમ્યા. પુછડીયા બેટ્સમેન પાસેથી વધુ અપેક્ષા રાખી શકાય નહીં.
બાબર આઝમે વધુમાં કહ્યું, “અમારું મન બેટિંગમાં પ્રથમ છ ઓવરનો વધુ ઉપયોગ કરવાનું હતું. પરંતુ એક વિકેટ પડી ગયા પછી, અને ફરીથી અમે પ્રથમ છ ઓવરમાં સારું પ્રદર્શન કર્યું ન હતું. પિચ સારી દેખાતી હતી. બોલ સારી રીતે આવતો હતો. હવે અમારે છેલ્લી બે મેચ સારી રીતે જીતવી પડશે, અમે છેલ્લી બે મેચોની રાહ જોઈ રહ્યા છીએ.
સુપર-8માં પ્રવેશવા માટે પાકિસ્તાને આગામી બે મેચ મોટા અંતરથી જીતવી પડશે
આ સાથે ભારતીય ટીમ ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. સતત બે મેચમાં જીત સાથે બે મેચના ચાર પોઈન્ટ થયા છે. જ્યારે, ભારતનો નેટ રન રેટ પણ 1.455 નો થઈ ગયો છે. આ સિવાય વર્તમાન ટૂર્નામેન્ટમાં સતત બીજી હાર બાદ પાકિસ્તાન ચોથા સ્થાને ગગડી ગયું છે. બાબર આઝમની ટીમ હજુ સુધી પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલાવી શકી નથી. તેણે સુપર-8માં પહોંચવા માટે પોતાની બંને મેચ સારા માર્જીનથી જીતવી પડશે. હવે આગામી 11 જૂને બાબર આઝમની ટીમ કેનેડા સામે ટકરાશે, જ્યારે 16 જૂને ટી20 વર્લ્ડ કપની 36મી મેચ આયર્લેન્ડ સામે રમવાની છે. આ બંને મેચમાં પાકિસ્તાને મોટા અંતરથી જીત મેળવવી પડશે.