T20 World Cup: ભારત સામે મેચ પહેલા જ પાકિસ્તાન ક્રિકેટ માં ભડકો, પૂર્વ કેપ્ટન અને કોચ એ PCB પર કર્યુ આક્રમણ, કહ્યુ ‘બલીના બકરા’ જ બનાવે છે
પાકિસ્તાને (Pakistan) 24 ઓક્ટોબરે ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup) માં ભારત સામે મેચ રમવાની છે અને તે પહેલા પણ પૂર્વ કેપ્ટને બોર્ડની ઝાટકણી નિકાળી છે.
પાકિસ્તાન ક્રિકેટમાં પરિવર્તન એ સામાન્ય છે. કેપ્ટનથી લઈને કોચિંગ સ્ટાફ સુધી, સતત ફેરફારો થતા રહે છે. તાજેતરમાં પણ આ ફેરફારો જોવા મળ્યા હતા. ટી20 વર્લ્ડકપ (T20 World Cup) ના થોડા દિવસો પહેલા ટીમના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. મુખ્ય કોચ મિસ્બાહ ઉલ હક (Misbah Ul Haq) અને બોલિંગ કોચ વકાર યુનુસે (Waqar Younis) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ટીમના સપોર્ટ સ્ટાફમાં ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડન અને દક્ષિણ આફ્રિકાના વોર્નન ફિલેન્ડરનો સમાવેશ કરાયો હતો. મિસ્બાહે હવે વર્લ્ડકપ શરૂ થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board) ને કઠેડામાં લાવી મૂકી દીધું છે અને તેના પર મન મૂકીને શાબ્દીક હુમલો કર્યો છે.
પૂર્વ કેપ્ટન રમીઝ રાજાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં એંન્ટ્રી કરી છે. તે તાજેતરમાં જ ચેરમેન બન્યા છે. જે બાદ મિસ્બાહ અને વકારે રાજીનામું આપ્યું હતું. રાજાના આગમન પછી જ એવી અટકળો ચાલી રહી હતી, કે મિસ્બાહને હોદ્દા પરથી હટાવી શકાય છે. કારણ કે આ બંને ને એકબીજા સાથે મન મેળ નથી. હવે મિસ્બાહે PCB પર પ્રહાર કરતા કહ્યું કે, બોર્ડ હંમેશા બલિનો બકરો બનાવવાના વિશે વિચારે છે અને તે જ રીતે વાસ્તવિક મુદ્દાઓથી બચવાનો પ્રયાસ કરે છે.
PCB નું ધ્યાન એક વાત પર
મિસ્બાહે એમ પણ કહ્યું છે કે PCB નું ધ્યાન માત્ર પરિણામ પર છે, તે બાકીની અવગણના કરે છે. મીડિયા રિપોર્ટસમાં મિસ્બાહને ટાંકીને કહ્યું, પાકિસ્તાનમાં આપણે માત્ર એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને તે છે પરિણામ. અમે તેનાથી આગળ વધતા નથી અને ખેલાડીઓની ક્ષમતાઓના વિકાસ જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી. મેચ અને શ્રેણી હાર્યા પછી, અમે ચહેરો બચાવવા માટે બલિના બકરાની શોધ કરીએ છીએ. જો આપણે આ રીતે ચાલતા રહીશું, તો કંઈપણ બદલાશે નહીં. તમે કોચ બદલી શકો છો, તમે ખેલાડી બદલી શકો છો, પરંતુ ક્યાંક સમસ્યા એમ જ રહેશે.
યુ-ટર્ન લઇ લે છે
મિસ્બાહે કહ્યું છે કે પાકિસ્તાનની પસંદગી સમિતિ પહેલા નિર્ણયો લે છે. પછી ફેરફારો કરે છે અને ત્યાર બાદ પોતાના નિર્ણય પર યુ-ટર્ન લે છે. અંતમાં તે ખેલાડીઓને સામેલ કરે છે જેમને ફરીથી ટીમમાં પડતા મૂકવામાં આવ્યા છે. તેણે કહ્યું, પહેલા તમે ટીમ બદલો છો, પરંતુ 10 દિવસ પછી તમે યુ-ટર્ન કરો છો અને પડતા મુકાયેલા ખેલાડીઓને પાછા લાવો છો.
ભારત સાથે ટકરાશે
પાકિસ્તાન ટીમ હાલમાં ટી20 વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી છે. તેણે પોતાની પ્રથમ મેચ ભારત સામે રમવાની છે. આ મેચ 24 ઓક્ટોબરે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. વનડે વર્લ્ડ કપ હોય કે ટી 20 વર્લ્ડ કપ, પાકિસ્તાન હજુ સુધી ભારત સામે જીત્યું નથી. તે 24 તારીખે ઈતિહાસ બદલવાનો પ્રયત્ન કરશે.