ભારતીય ટીમના સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવે કરેલા એક કેચની પળ દરેક ભારતીયની નજરમાં કાયમ માટે કેદ થઈ ગઈ છે. સૂર્યકુમાર યાદવનું બેટ ભલે દક્ષિણ આફ્રિકા સામેની T20 વિશ્વકપ ફાઈનલ મેચમાં કમાલ ના દેખાડી શક્યું હોય. પરંતુ સૂર્યાની ફિલ્ડીંગે કમાલ કરી દીધો હતો. તેણે બાઉન્ડરી પર કરેલા કેચને માત્ર બોલ નહીં હાથમાં ટ્રોફી પકડી લીધી હોવાનું ચાહકો સોશિયલ મીડિયા પર કહેવા લાગ્યા છે.
આ દરમિયાન મેચ બાદ સૂર્યાકુમાર યાદવે બાઉન્ડરી પરથી ઝડપેલા કેચને લઈ પ્રતિક્રિયા આપી છે. સૂર્યાના આ કેચને લઈ PM મોદીએ પણ કેપ્ટન રોહિત શર્માને જીતના અભિનંદન આપતા ફોનમાં યાદ કર્યો હતો. સૂર્યાના યોગદાનની વડાપ્રધાને પણ સરાહના કરી હતી.
મેચ બાદ સૂર્યાએ જબરદસ્ત કેચ અંગેની પ્રતિક્રિયા આપી છે. સૂર્યાએ ડેવિડ મિલરનો જબરદસ્ત કેચ બાઉન્ડરી પર ઝડપ્યો હતો. તેણે બાઉન્ડરી પાર જઈ રહેલા બોલને ઝડપીને હવામાં ઉછાળી ફરીથી બોલ હાથમાં પકડી લીધો હતો. તેના આ કેચ પર ખૂબ વાહ વાહી થઈ રહી છે.
એક મીડિયા રિપોર્ટનુંસાર તેમની સાથે વાત કરતા સૂર્યાએ કહ્યું હતુ કે, અત્યારે એ કહેવું આસાન છે, પરંતુ એવું લાગી રહ્યું હતુ કે, ટ્રોફી બાઉન્ડરી લાઈનની પાર જઈ રહી હતી અને બીજા પાસે જઈ રહી હતી. પરંતુ તમે એ વખતે એ વિચારતા કે બોલ બાઉન્ડરી લાઈનની બહાર જશે અને સિક્સર થઈ જશે. જે પણ મારા હાથમાં હતું એ મે પ્રયાસ કર્યો. હવાનો પણ તેમાં યોગદાન રહ્યું છે. અમે ફિલ્ડીંગ કોચ સાથે આની પર ખૂબ પ્રેક્ટીસ કરી છે અને આવા અનેક કેચ ઝડપ્યા છે.
આગળ પણ વાત કરતા રિપોર્ટ મુજબ સૂર્યાએ કહ્યુ હતુ કે, T20 વિશ્વકપ ટ્રોફી વાળુ ટેટૂ પોતાના શરીર પર કરાવશે. એટલે કે તેણે કહ્યુ છે કે, તેના શરીર પર ડેટ અને ટ્રોફી વાળુ ટેટૂ તે કરાવશે. સૂર્યાએ કહ્યું હતુ કે, અગાઉ વર્ષ 2023માં પણ વનડે વિશ્વકપને લઈ આ અંગેનો પ્લાન કર્યો હતો. પરંતુ એમ થઈ શક્યું નહોતું. આ વખતે અમે લાઈન ક્રોસ કરી લીધી છે. આ દિવસ ખૂબ લાંબા સમય સુધી યાદ રહેશે. આ દિલના ખૂબ જ નજીક છે, થઈ શકે છે કે, હું તેને તેની પાસે જ રાખું. જ્યારે પણ થશે ત્યારે બતાવીશ.
Published On - 2:29 pm, Sun, 30 June 24