મેચોને વરસાદથી કેવી રીતે બચાવી શકાય? ટીમ ઈન્ડિયાના સ્ટારે સૌથી સરળ રસ્તો સૂચવ્યો
હેમિલ્ટનમાં ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે રમાયેલી મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. આ પહેલા ટી-20 સિરીઝની બે મેચ પણ વરસાદના કારણે થઈ શકી ન હતી.
વરસાદને કારણે ઘણી મેચો રદ થઈ ગઈ છે. ઘણી મેચોના પરિણામ આવતા નથી. આવી સ્થિતિમાં મેચ જોવા આવતા દર્શકો નિરાશ થાય છે સાથે જ ખેલાડીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે પૂર્ણ થઈ શકી ન હતી કારણ કે વરસાદે રમત બગાડી હતી અને મેચને રદ કરવી પડી હતી. આ મેચ બાદ ભારતના યુવા ઓપનર શુભમન ગિલે વરસાદથી બચવા માટે એક સૂચન આપ્યું છે. ગિલને લાગે છે કે બંધ છત સાથે સ્ટેડિયમ વરસાદથી છુટકારો મેળવી શકે છે.
2 મેચ વરસાદના કારણે રદ થઈ
ભારતીય ટીમ હાલમાં ન્યુઝીલેન્ડના પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે પહેલા હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ત્રણ મેચની ટી 20 સિરીઝ રમી. આ સિરીઝમાં એક જ મેચ રમાય શરી હતી. જેમાં ભારતીય ટીમને હાર મળી હતી અન્ય 2 મેચ વરસાદના કારણે રદ થઈ હતી.
પ્રથમ વનડેમાં 50 રન બનાવનાર ગિલે બીજી વનડેમાં વરસાદ રદ થવા સમયે અણનમ 45 રન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે, વરસાદના કારણે મેચ પર તેની અસર થઈ હતી. ગિલે બીજી વનડે રદ થતા કહ્યું કે, આ નિર્ણય (ઇન્ડોર સ્ટેડિયમમાં રમવા માટે) બોર્ડે કરવો જોઈએ. એક ખેલાડી અને પ્રશંસક તરીકે, વરસાદને કારણે આટલી બધી મેચોને અસર થતી જોવી પરેશાની વાત છે. હું આ વિશે શું કહી શકું કારણ કે આ એક મોટો નિર્ણય છે. ચોક્કસપણે બંધ સ્ટેડિયમ એક સારો વિકલ્પ હશે.
રણનીતિ બનાવી શકતા નથી
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી વનડેમાં, પ્રથમ વરસાદના પછી, ઇનિંગ્સ દીઠ ઓવરોની સંખ્યા ઘટાડીને 29 કરવામાં આવી હતી પરંતુ મેચમાં માત્ર 12.5 ઓવર જ રમાઈ હતી. ગિલે કહ્યું, તે ખૂબ જ પરેશાન કરનારું છે કારણ કે તમને ખબર નથી કે કેટલી ઓવર રમાશે અને આવી સ્થિતિમાં તમે તે મુજબ રણનીતિ બનાવી શકતા નથી.
ગિલે આગામી વર્ષે રમાનાર વનડે વર્લ્ડકપ માટે 15 સભ્યોની ટીમમાં સ્થાન બનાવવાના પ્રબળ દાવેદાર છે પરંતુ તેમણે કહ્યું કે, હજુ તે વિશે વિચારી રહ્યો નથી. તેમણે કહ્યું કે,હું આટલી દુર સુધી વિચારી રહ્યો નથી અને મને જે પણ તક મળી રહી છે. તેનો પુરો ફાયદો ઉઠાવવા માંગુ છું, હું ટીમ માટે મોટી ઈનિગ્સ રમવા માંગુ છુ.