IND vs SL: ટીમ ઇન્ડિયામાં પસંદગીકારોએ કરી દીધા મોટા ફેરફાર, કોણ આવ્યુ કોણ ગયુ જાણો મોટી વાતો
Indian Team for Sri Lanka Series: ભારતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં શ્રીલંકા સામે ત્રણ ટી20 અને બે ટેસ્ટ મેચ રમવાની છે. આ શ્રેણી ફેબ્રુઆરીના અંતમાં શરૂ થશે.

ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચેની સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ની જાહેરાત કરવામાં આવી છે. પસંદગીકારોએ ત્રણ ટી-20 અને બે ટેસ્ટ મેચ માટે રોહિત શર્મા (Rohit Sharma) ની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા એ જણાવ્યું કે રોહિત શર્મા હવે ભારતનો નવો ટેસ્ટ કેપ્ટન છે. આ શ્રેણી માટે ભારતીય ટેસ્ટ અને ટી20 ટીમમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. ઘણા જૂના અને જામેલા ચહેરાઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. તેમજ કેટલાક ભુલાઈ ગયેલા ખેલાડીઓને ફરીથી તક આપવામાં આવી છે.
આ સિવાય નવા ચહેરા પણ ભારતીય ટીમનો હિસ્સો બન્યા છે. આ સંદર્ભમાં, પસંદગીકારોએ ભારતીય ટીમનો દેખાવ બદલવાનો ખૂબ પ્રયાસ કર્યા છે. આવો જાણીએ ભારતીય ટીમની જાહેરાત સાથે જોડાયેલા મોટા અપડેટ્સ વિશે.
ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન
ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન તરીકે રોહિ શર્માની પસંદગી સંભાવનાઓ મુજબ કરવામાં આવી છે. હિટમેને વિરાટ કોહલીનુ સ્થાન લીધુ છે. વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં ટેસ્ટ સિરીઝ બાદ કેપ્ટનશીપ છોડી દીધી હતી.
કોણ કોણ થયુ બહાર
- ભારતીય ટેસ્ટ ટીમમાંથી વરિષ્ઠ ખેલાડીઓ ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, ઈશાંત શર્મા અને રિદ્ધિમાન સાહાને બહાર કરવામાં આવ્યા છે.
- કેએલ રાહુલ અને વોશિંગ્ટન સુંદર શ્રીલંકા સામેની શ્રેણીમાં ટેસ્ટ અને ટી-20 બંને ટીમનો હિસ્સો નથી. બંનેને ફિટનેસની સમસ્યા છે.
- ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને શ્રીલંકા સામેની શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. તે ટેસ્ટ અને ટી-20 બંને શ્રેણીમાં જોવા મળશે નહીં.
- વિરાટ કોહલી અને ઋષભ પંત શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં નહીં રમે. બંને આરામમાં હશે. આ બંને ટેસ્ટ શ્રેણીમાંથી પરત ફરશે.
આ ખેલાડીઓ ટીમમાં પરત ફર્યા
- જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા શ્રીલંકા સામેની ટી-20 શ્રેણી માટે પરત ફર્યા છે. બુમરાહ આરામથી પરત ફરશે અને રવિન્દ્ર જાડેજા ઈજામાંથી સાજો થઈ ગયો છે.
- કુલદીપ યાદવ લગભગ એક વર્ષ બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં પરત ફર્યો છે. તે જાન્યુઆરી 2021માં ટીમ ઈન્ડિયાનો છેલ્લો ભાગ હતો.
- સંજુ સેમસન પણ ફરીથી ભારતીય ટીમનો ભાગ બની ગયો છે. તેને T20 ટીમમાં રાખવામાં આવ્યો છે. તે 2019 માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ટીમમાં છેલ્લી વખત સામેલ હતો.
નવો ચહેરો
ભારતીય ટીમમાં સૌરભ કુમારના રૂપમાં એક નવો ચહેરો આવ્યો છે. આ ખેલાડી ઉત્તર પ્રદેશનો છે. તે લેફ્ટ આર્મ સ્પિન બોલર છે.
ભારતીય ટેસ્ટ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), મયંક અગ્રવાલ, પ્રિયાંક પંચાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ઋષભ પંત, શુભમન ગિલ, કેએસ ભરત, આર. અશ્વિન (ફિટનેસ આધારીત), રવિન્દ્ર જાડેજા, જયંત યાદવ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, સૌરભ કુમાર.
ભારતીય ટી20 ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર, દીપક હુડા, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ. સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ.