Ravi Shastri Birthday : ક્રિકેટજગતમાં રવિએ ઈતિહાસ રચ્યાની જાણ તેની માતાને બીજા દિવસે પાણીપુરીવાળાએ આપી હતી, જાણો એ રેકોર્ડ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) નો આજે જન્મદિવસ છે. ક્રિકેટ ખેલાડી, કોચ અને કોમેન્ટેટર તરીકે તેની શાનદાર કારકિર્દી રહી છે. તેણે 19 વર્ષની ઉંમરે ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તે કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે અચાનક ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) માંથી ફોન આવ્યો. રવિ શાસ્ત્રીએ એક ઓવરમાં 6 સિક્સર મારવાનું કારનામું કર્યું હતું. તેણે તેની માતાને પણ આ વાત કહી ન હતી. આ સાથે જોડાયેલી એક રસપ્રદ વાર્તા છે.
જ્યારે પણ એક ઓવરમાં 6 છગ્ગા ફટકારવાનો ઉલ્લેખ આવે છે ત્યારે સૌથી પહેલા ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ (Yuvraj Singh) નું નામ આવે છે. 2007 T20 વર્લ્ડ કપમાં તેણે ઈંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડના 6 બોલમાં સતત 6 છગ્ગા ફટકાર્યા હતા. ટી-20 ક્રિકેટમાં આવું પહેલીવાર બન્યું હતું. મેચમાં કોમેન્ટ્રી કરી રહેલા શાસ્ત્રીએ પોતાના અવાજમાં આ ક્ષણને વધુ ખાસ બનાવી દીધી હતી. પરંતુ યુવરાજ પહેલા રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ પણ આ કારનામું કર્યું હતું. આજે તેમનો જન્મદિવસ છે. શાસ્ત્રીનો જન્મ આ દિવસે એટલે કે 27 મે 1962 ના રોજ મુંબઈમાં થયો હતો. શાસ્ત્રીએ ક્યારે અને કોની સામે 1 ઓવરમાં 6 સિક્સર મારવાનું પરાક્રમ કર્યું હતું તેના વિશે આજે અમે તમને જણાવીશું.
રવિ શાસ્ત્રીએ જાન્યુઆરી 1985 માં મુંબઈ તરફથી રમતા બરોડા સામે 6 સિક્સર ફટકારી હતી. રવિ શાસ્ત્રીની આક્રમકતાનો શિકાર બરોડાનો બોલર તિલક રાદ બન્યો હતો. રવિ શાસ્ત્રીએ બીજી ઈનિંગમાં 123 બોલમાં 200 રન બનાવ્યા હતા. તેણે 13 ચોગ્ગા અને એટલા જ છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ શાસ્ત્રીએ બરોડાની બીજી ઇનિંગમાં પણ 2 વિકેટ ઝડપી હતી. જો કે કિરણ મોરેની સુકાનીમાં બરોડાની ટીમ આ મેચને ડ્રો કરવામાં સફળ રહી હતી.
રવિ શાસ્ત્રીની માતા મોટી ક્રિકેટ ચાહક છે
રવિ શાસ્ત્રીની આ સિદ્ધી આખી દુનિયાને એ જ દિવસે ખબર પડી ગઇ હતી. પણ ક્રિકેટ ચાહક તેની માતાને આ સમાચાર બીજા દિવસે એક પાણીપુરી વાળા વ્યક્તિ પાસેથી મળ્યા હતા. શાસ્ત્રીની માતા ઘણીવાર રેડિયો પર ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળતા હતા. તેને ડોન બ્રેડમેન, એલેક બેડસર જેવા ખેલાડીઓના રેકોર્ડ શબ્દો યાદ હતા. પરંતુ તેમના પુત્રની આ સિદ્ધીના સમાચાર તેમના કાને મળ્યા ન હતા.
રવિ શાસ્ત્રીએ 6 છગ્ગાની સિદ્ધીના સમાચાર પાણીપુરીવાળાને આપ્યા હતા
રવિ શાસ્ત્રીએ બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ શો દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. પોતાની ઇનિંગ વિશે જણાવતાં શાસ્ત્રીએ કહ્યું, ‘બરોડા સામે તે ઇનિંગ રમ્યા બાદ હું મિત્રો સાથે રાત્રે પાર્ટીમાં ગયો હતો. હું ઘરે પાછો આવ્યો ત્યારે સવારના 3 વાગ્યા હતા. મેં ઘરની બેલ વગાડી તો સામેના દરવાજે મારી માતા હતી. મેં મારી માતાને 5 વાગ્યે પ્રેક્ટિસમાં જવા કહ્યું અને હું સૂઈ ગયો. બીજા દિવસે હું પ્રેક્ટિસ કરવા ગયો. સવારે જ્યારે માતા સામાન લેવા બજારમાં ગયા ત્યારે ઘર પાસેના પાણીપુરીવાલા વ્યક્તિએ તેને કહ્યું કે રવિએ 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા છે. ઘરે આવ્યા પછી તેણે 7 વાગે સમાચાર સાંભળ્યા. ત્યાં સુધીમાં આ સમાચાર બધે આવી ગયા હતા. આ પછી માતાએ પણ મને ઠપકો આપ્યો કે તેં મને કેમ કહ્યું નહીં?
કોલેજથી સીધા ટીમ ઇન્ડિયા માટે રમવા મળ્યું
રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ 1981 માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારે તે 19 વર્ષનો હતો અને તે કોલેજના બીજા વર્ષમાં હતો. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા રન બનાવી રહ્યો હતો. તેને બોમ્બે ટીમ માટે નેટ્સ માટે બોલાવવામાં આવ્યો હતો. બોલિંગ અને બેટિંગ જોયા બાદ તેેને બોમ્બેની ટીમમાં જગ્યા મળી. તે જ સમયે દિલીપ દોશીને ઈજા થઈ હતી. આ કારણથી શાસ્ત્રીને ટીમ ઈન્ડિયા (Team India) તરફથી સીધો ફોન આવ્યો અને તેઓ ફ્લાઈટ દ્વારા સ્ટેડિયમ પહોંચ્યા અને આ રીતે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું. તે જ વર્ષે તેણે વનડેમાં પણ પદાર્પણ કર્યું હતું. તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.
1983 વર્લ્ડ કપ જીતનારી ટીમનો સભ્યો રહી ચુક્યો છે
રવિ શાસ્ત્રીએ ભારત માટે 80 ટેસ્ટ અને 150 વનડે રમી હતી. તેણે ટેસ્ટમાં 3830 રન અને વનડેમાં 3130 રન બનાવ્યા છે. શાસ્ત્રીએ બંને ફોર્મેટમાં કુલ 280 વિકેટ ઝડપી હતી. તેઓ 1983 માં ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ હતા. બાદમાં રવિ શાસ્ત્રીએ કોમેન્ટેટર તરીકે પણ કામ કર્યું અને 2 વખત ટીમ ઈન્ડિયાના કોચની ભૂમિકા ભજવી. ટીમ ઈન્ડિયામાંથી દુર થયા બાદ તેણે ફરી કોમેન્ટ્રીમાં હાથ અજમાવ્યો છે.