કંગાળ પાકિસ્તાની ચેરમેને ઠાઠ જમાવવા સહેજે કસર ના છોડી, PCBના વડાએ 1.65 કરોડની કાર ખરીદી
રમીઝ રાજાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા બાદ હવે વિવાદો ભર્યા ખુલાસાઓ રોજ સામે આવી રહ્યા છે, હવે ઠાઠ કરવા પૈસા ઉડાવવાનો વધુ એક ખર્ચ સામે આવ્યો છે.
રમીઝ રાજાને હટાવીને હવે પૂર્વ પત્રકાર નઝમ શેઠીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનુ સુકાન સોંપવામાં આવ્યુ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની આર્થિક હાલત ખરાબ છે. આ કારણથી જૂનિયર ક્રિકેટ લીગને પણ બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંગાળ પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડમાં ઠાઠ માટે પૈસા ખર્ચવામાં કોઈ કસર કરવામાં આવતી નથી. હવે મોંઘીદાટ બુલેટપ્રુફ કારની ખરીદીને લઈ પૂર્વ ચેરમેન રમીઝ રાજાએ ખુલાસો કર્યો છે કે તે કાર જાનની સુરક્ષા માટે ખરીદવામાં આવી હતી. જાનથી મારી નાંખવાની તેમને ધમકી મળી હતી, તેથી તેઓએ બુલેટપ્રુફ કારનો ઉપયોગ શરુ કર્યો હતો.
પીસીબીના ચેરમેન પદ પરથી અચાનક જ રમીઝ રાજાને હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ શેઠીને બોર્ડનુ સુકાન સોંપાતા જ રોજ નવા ખુલસાઓ સામે આવવા લાગ્યા હતા. શેઠી પદ સંભાળતા જ એક બાદ એક નિર્ણયો લેવા શરુ કર્યા હતા, જેમાં રાજાએ કરેલા નિર્ણયોને બદલવાની સંખ્યા વધારે જોવા મળી રહી હતી.
બુલેટપ્રુફ કારમાં ફરતા હતા રમીઝ રાજા
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની આર્થિક હાલત કંગાળ છે. ભારતીય ક્રિકેટ બોર્ડ સામે તેની તુલના થઈ શકે એવી સ્થિતી નથી. કારણ કે ભારતીય બોર્ડની વાર્ષિક આવક પીસીબીના પ્રમાણમાં અનેક ગુણાંકમાં છે. આવી સ્થિતીમાં પણ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના બોસને ઠાઠમાઠમાં રહેવુ વધારે પસંદ હતુ. બોર્ડના ચેરમેન રમીઝ રાજા ચમચમાતી મોંઘીદાટ બુલેટ પ્રુફ કારમાં ફરતા હતા. તે કારની કિંમત 1 કરોડ 65 લાખ રુપિયા હતી.
પાકિસ્તાનની સ્થાનિક ટીવી ચેનલ પર વાત કરતા પૂર્વ ચેરમેન રાજાએ કહ્યુ હતુ કે, તે કાર પીસીબી પાસે છે, મે તેને નથી ખરીદી. મારા બાદ પણ જે આવ્યા છે તે પણ તેનો ઉપયોગ કરી શકે છે. મને જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી. જ્યાં સુધી તમને જાનથી મારી નાંખવાની ધમકી નથી મળતી ત્યા સુધી તમે બુલેટપ્રુફ કાર નથી ખરીદી શકતા. એટલે જ મે કાર ખરીદી.
પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણી દરમિયાન ધમકી મળી
રમીઝ રાજાને ધમકી ગત માર્ચ માસમાં મળી હતી. એ વખતે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે શ્રેણી ચાલી રહી હતી. વાત કરતા રાજાએ કહ્યુ કે, “હું તેના વિશે વધુ વિગતો શેર કરી શકતો નથી. પરંતુ આવું માર્ચ-2022માં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી શ્રેણી દરમિયાન થયું હતું. ડીઆઈજી સાહેબ મારા ઘરે આવ્યા હતા અને તેમની વિગતોથી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.
બોર્ડના વડા તરીકે હટ્યા બાદ સતત રમીઝ રાજા પોતાની વાતને મુકી રહ્યા છે. આ દરમિયાન તેઓએ પીસીબીને લઈ અનેક પ્રકારના ખુલાસાઓ કર્યા અને બોર્ડને નિશાન બનાવ્યુ. રાજાએ કહ્યુ હતુ કે, તેમને બોર્ડની ઓફિસમાંથી સામાન પણ ઉઠાવવા દેવામાં આવ્યો નહોતો. ત્યાર બાદ તેઓએ કાનૂની કાર્યવાહી કરવાની વાત કહી હતી.