ટીમ ઈન્ડિયાને કારણે ગુમાવી નોકરી, લખનૌમાં ‘લાલ’ અને ‘કાળી’ પિચ પર મચ્યો હોબાળો
લખનૌની પિચ પર મચેલા હોબાળાની મોટી ઘટના એ છે કે પિચ ક્યુરેટર સુરેન્દ્ર કુમારને હટાવી દેવામાં આવ્યા છે. હવે તે મુખ્ય મેદાનનું કામકાજ નહીં જોવે.
ટીમ ઈન્ડિયા હવે ન્યૂઝીલેન્ડ સામે નિર્ણાયક ત્રીજી T20 મેચ જીતવાના ઈરાદા સાથે અમદાવાદ પહોંચી છે. પરંતુ, તે અમદાવાદ પહોંચે તે પહેલા લખનૌમાં જે ઘટના બની તેનાથી ખળભળાટ મચ્યો છે. પીચને લઈને સર્જાયેલા વિવાદને કારણે પિચ ક્યુરેટરે નોકરી પણ ગુમાવી દીધી છે. વાસ્તવમાં લખનૌમાં જે પીચ પર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 મેચ રમાઈ હતી. હાર્દિક પંડ્યાએ મેચ બાદ પીચને દયનીય ગણાવી હતી. હાર્દીક પટેલે, પીચને T20 ક્રિકેટને લાયક નહોતી તેમ ગણાવી હતી. આ સાથે તેમણે એવી પણ સલાહ આપી કે ક્યુરેટર અને ગ્રાઉન્ડ સ્ટાફે નવેસરથી જલદી પીચ બનાવી જોઈએ.
હાર્દિકના નિવેદન બાદ લખનૌની પિચ પર જે હોબાળો મચ્યો છે તેના પર મોટું અપડેટ એ છે કે, પિચ ક્યુરેટર સુરેન્દ્ર કુમારને હટાવવામાં આવ્યા છે. હવે તેઓ મુખ્ય મેદાનનું કામકાજ નહીં જોવે. તેમના સ્થાને સંજીવ અગ્રવાલ હવે લખનૌના નવા પિચ ક્યુરેટર હશે. IPL માટે લખનૌના એકના સ્ટેડિયમના મુખ્ય મેદાનની નવ પિચો પણ સંજીવ અગ્રવાલની દેખરેખ હેઠળ બનાવવામાં આવશે.
લખનૌની પીચ પર શા માટે હોબાળો મચ્યો ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્યુરેટરે મેચ માટે અગાઉથી બે પ્રકારની બ્લેક પિચ તૈયાર કરી હતી. પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટે છેલ્લી ઘડીએ તેની પાસેથી લાલ પિચની માંગ કરી હતી. તેને તાજી લાલ પિચ બનાવવા માટે કહેવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં જે નવી પીચ બનાવવામાં આવી હતી તે મેચ માટે યોગ્ય નહોતી. પીચ ખુબ જ ધીમી હતી જે T20 ક્રિકેટ માટે યોગ્ય નહોતો.
હવે સવાલ એ છે કે, જ્યારે ટીમ મેનેજમેન્ટ શોર્ટ નોટિસ પર લાલ પિચ ઇચ્છતું હતું તો કેપ્ટન હાર્દિક પંડ્યાને તેની ટીકા કરવાની શી જરૂર હતી ? કારણ કે પીચ ક્યુરેટર સુરેન્દ્ર કુમારને પણ હાર્દીક પંડ્યાની ટીકા બાદ જ ક્યુરેટર પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
બીજી T20 લખનૌમાં લો સ્કોરિંગ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે લખનૌમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે લો સ્કોરિંગ મેચ રમાઈ હતી. ન્યૂઝીલેન્ડ પ્રથમ બેટિંગ કરી અને માત્ર 99 રન બનાવી શક્યું હતુ. આ સાથે જ 100 રનના લક્ષ્યનો પીછો કરતા ટીમ ઈન્ડિયાનો પરસેવો છૂટી ગયો હતો. પિચ પર સ્પિનરોનું વર્ચસ્વ રહ્યું હતું.